ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરઢવ ગામે પ્રભાત ફેરીમાં થયા સહભાગી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા, રણછોડરાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપાવનારા ગામના વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો જન્મ દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે. તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન આર.ઓ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી સાથે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય શંભૂજી ઠાકોર, પૂર્વ મંત્રી વાડી પટેલ, સરપંચ કિરીટ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
