ગીર સોમનાથમાં પાક લણણી માટે ડબલ મજૂરી આપવા છતા મજૂરોની અછત
Live TV
-
ગીર સોમનાથમાં પાક લણણી માટે ડબલ મજૂરી આપવા છતા મજૂરોની અછત
હાલ ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થતાં ખેડૂતોની સીઝન પૂરજોશ માં ચાલુ છે. જેમાં પણ સૌરાષ્ટ્રમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકને લણવાની કામગીરી ચાલુ છે.ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં ખેતી માટે મજૂરોની ભારે અછત જોવા મળી રહી છે. કારણ કે ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ ખાબકતા ખેડૂતોનાં પાકોને વ્યાપક નુકશાન થયું છે.તો કમૌસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં આગોતરી અને ચોમાસા દરમિયાન વાવેલી મગફળી નો પાક એક સાથે તૈયાર થતા હાલ ખેડૂતો મજૂર માટે મથામણ કરી રહ્યા છે. મજૂરોની અછત વર્તાતા જે મજૂરી ખર્ચ 350 રૂપિયા હતા તેમાં વધારો થઈને 700 રૂપિયા સુધી પહોંચી ગયો છે.આમ છતાં ગીરના ખેડૂતોને મજૂર મળતા નથી.
એક તરફ ડબલ રૂપિયા આપવા છતાં મજૂર મળતા નથી અને બીજી તરફ જે મજૂરો મળે છે તે પણ યોગ્ય કામગીરી ન કરતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જોકે મજૂર ન મળવાના કારણે ખેડૂતોને દિવાળી ઉત્પાદનની સાથે શિયાળુ ઉત્પાદન પર પણ અસર થવાની ભીતી સેવાઈ રહી છે. કારણ કે દિવાળી ઉત્પાદન જેટલું જલ્દી સચવાય એટલુ જ વહેલું શિયાળુ પાકનું વાવેતર કરી શકાય આથી જ મજૂર ન મળવાના કારણે કેટલાક ખેડૂત પરિવારો જાતે જ પોતાનો પાક સાચવવા લાગ્યા છે.જોકે ગીરમાં શેરડીના કટિંગ માટે આવતા મહારાષ્ટ્ર અને યુપીનાં મજૂરોને કારણે થોડી રાહત જરૂર થાય છે પરંતુ તેમાં પણ વહેલી સવારે મજૂર શોધવા માટે ખેડૂત જાય અને ડબલ રૂપિયાની મજૂરી ખેડૂત ચૂકવે ત્યારે મજૂર મળે, એ પણ એક દિવસ આવે અને બીજા દિવસે ન આવે.આથી કેટલાક ખેડૂતો ખેતી કામમાં વધુ આધુનિકરણ થાય તેવી માંગ કરી રહ્યા છે.જેથી મજૂર ખર્ચ પણ બચે અને મજૂરની મથામણથી પણ છુટકારો મળે.
