ગુજરાતમાં આરોગ્ય, પ્રવાસ અને ખેતીના વિવિધ પ્રકલ્પોનું પીએમ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે
Live TV
-
ગુજરાતમાં આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલી શુભારંભ કરશે. રૂપિયા 470 કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલને 850 પથારીની ક્ષમતા સાથે વધુ સજ્જ બનાવવામાં આવી છે. તો દેશના સૌથી મોટા રોપ-વે ગિરનારનું પણ આ પ્રસંગે લોકાર્પણ કરાશે. તે ઉપરાંત, રાજ્યના ખેડૂતોને દિવસે પણ વીજળી પૂરી પાડવાની 'કિસાન સૂર્યોદય યોજના' ના પ્રથમ તબક્કાનું પણ આ નિમિત્તે લોકાર્પણ કરાશે.
આ વિષય પર બોલતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, એશિયાની સૌથી વિશાળ સિવિલ હૉસ્પિટલના અમદાવાદ કૅમ્પસમાં સક્રિય યુ.એન. મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને રૂપિયા 470 કરોડના ખર્ચે વધારે સુસજ્જ બનાવવામાં આવી છે, જેમાં 850 પથારીઓની ક્ષમતા સાથે દર્દીઓને સારી સુવિધાઓ મળી રહી છે. આ હૉસ્પિટલમાં તાજા જન્મેલા બાળકને જો હૃદયની બીમારી હોય તો તેવા બાળકોની સારવાર માટે ઊભી કરાયેલી અલાયદી વ્યવસ્થાનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે 24 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. સાથોસાથ, દેશના સૌથી મોટા રોપ-વેનું એટલે કે ગિરનાર રોપ-વેનું પણ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતોને દિવસે પણ સિંચાઈ માટે વીજળી મળી રહે તે માટે 'કિસાન સૂર્યોદય યોજના' ના પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાનાં લગભગ બેથી ત્રણ હજાર ગામડાંના ખેડૂતોને આવરી લેવાયા છે.
