ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરના પૂર્ણ રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
Live TV
-
ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરના આજે પણજીમાં મીરામાર બીચ પાસે પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાદગીના પ્રતિક નેતા મનોહર પાર્રિકરનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન થયો છે. તેમના અંતિમ સંસ્કારમાં વિવિધ પક્ષના નેતા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારે લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું હતું. પાર્રિકરના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને પણજીના ભાજપા મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રક્ષામંત્રી નિર્મલા સિતા રમન રાજ્યપાલ મૃદુલા સિન્હા વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ આયુષ મંત્રી શ્રીપદ નાયક લોકસભા સાંસદ નરેન્દ્ર સવાઈકર અને રાજ્યસભા સભ્ય વિનય તેંડુલકર સહિતના વિવિધ નેતાઓએ મનોહર પાર્રિકરને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તો મનોહર પાર્રિકરના સન્માનમાં કેન્દ્ર સરકારે આજના દિવસને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો જેને લઈ પુરા દેશમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ગોવામાં તેમના સન્માનમાં સાત દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
