ચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાયો, હજારો હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો
Live TV
-
શ્રી સ્વામિનારાયણ ભગવાને 202 વર્ષ પહેલા એક એવો દિવ્ય અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે. ૨૦૨ વર્ષ પહેલાં લોયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરાખાચરના દરબાર ગઢમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી.
આ શાકોત્સવમાં શ્રીહરિએ 18 મણ ઘીમાં 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. જેનો વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. બસ, ત્યારથી સંપ્રદાયમાં આ પરંપરા ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે."
ગરવી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા આદર્શ વાઘજીપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. આ શાકોત્સવમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરુપદાસજી સ્વામી, શ્રી મુનિવલ્લભદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી સહિતના સંતો દ્વારા હરિભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા નાદવંશીય પરંપરાના ગુણગાન તેમજ શાકોત્સવનું મહત્વ સમજાવ્યું હતું.
ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, રમત ગમત, ભજન કીર્તન, સંતવાણી - કથાવાર્તા, અન્નકૂટ દર્શન, આરતી, મહાપ્રસાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમથી દિવ્ય રૂડો શાકોત્સવ ઊજવાયો હતો. આ શાકોત્સવમાં રીંગણાનું શાક, બાજરા તથા મકાઈના રોટલા, કઢી, ખીચડી, મોહનથાળ સહિતના પકવાન મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારેલા હરિભક્તોએ શાકોત્સવનો મહાપ્રસાદ માણ્યો હતો.
