છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ મનરેગા યોજના
Live TV
-
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના લોકો માટે મનરેગા યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અગાઉ ગામમાં પાણીની સમસ્યાને નિવારવા ગામમાં તળાવ બનાવવાના નિર્ણયને માન્ય રાખી મનરેગા યોજના અંતર્ગત તળાવ બનવવાના કામને ઉચ્ચ કક્ષાએથી મજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી ખર્ચ કરી તળાવને વધુ ઊંડું કરવામાં આવ્યું અને તેમાં 2,389 માનવદિનની ગામના જ લોકોને રોજગારી પુરી પાડવામાં આવી. કુલ રૂ. 9.25 લાખના ખર્ચે ગાંઠિયા ગામમાં એક સુંદર ઊંડું તળાવ તૈયાર થઈ ગયું જેનું નામ મણિતળાવ રાખવામાં આવ્યું છે. વર્ષ 2019 માં તળાવ બન્યા બાદ ચોમાસામાં ડુંગરોમાંથી વહીને આવતા પાણીનો તળાવમાં મોટા પ્રમાણમાં સંગ્રહ થયો અને ગામના પ્રત્યેક બોર અને કુવાઓમાં પાણીના તળ ઊંચા આવ્યા હતા.
તળાવની ભૌગોલિક સ્થિતિને લઈ તળાવનુ પાણી ઝર સ્વરૂપે વહીને કોતરોમાં આવવાથી ગાંઠિયા ગામનું તળાવ પાણીથી ભરેલું છે. ગામના ખેડૂતો તળાવને કારણે ચોમાસુ ખેતી કર્યા બાદ શિયાળુ અને ઉનાળુ પણ લેતા થયા છે. પશુઓ અને પક્ષીઓને પીવાનુ પાણી સરળતાથી મળી રહે છે. ભર ઉનાળે ગાંઠિયા ગામના ખેતરો લીલાછમ દેખાઈ રહયા છે, ગામના ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થયા છે. મનરેગા યોજના હેઠળ ગાંઠિયા ગામમાં તળાવ બનતા સરકારની મનરેગા યોજના ગામલોકો માટે જાણે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
