જનજાતીય ગૌરવ દિવસ : ગુજરાતના દેવમોગરા ધામનો અનેરો મહિમા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
આદિજાતિ સમાજના પરાક્રમ અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે 15 નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે.આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી **પાંડોરી માતા (યાહમોગી)**નું મંદિર આવેલું છે.સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ ધામ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિજાતિ સમુદાયના લોકોની અપાર શ્રદ્ધાનું કેન્દ્ર છે.માન્યતા છે કે હજારો વર્ષો પહેલાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે માતાજીએ સ્વયં વાસ કર્યો હતો. ગોર્યા કોઠારની પાલક પુત્રી યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણ સંભાળ્યું હતું, ત્યારથી અહીંના અન્ન ભંડારો ક્યારેય ખૂટ્યા નથી.
અહીં આવનાર દરેક દુઃખી માણસ હસતાં મુખે પાછો ફરે છે, તેથી આ ધામ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક ગણાય છે.દેવમોગરા ખાતે દર વર્ષે મહાશિવરાત્રિ પર રાજા પાંઠા-વિનાદેવના સ્થાનક પાસે ભવ્ય ગઢ યાત્રા યોજાય છે.આ યાત્રામાં માતાજીને કુદરતી ઝરણામાં સ્નાન કરાવી, આગામી વર્ષ માટે ખેતીવાડી અને વરસાદનો વરતારો (હોલકો ઠોકીને) લેવામાં આવે છે.મેળા દરમિયાન માતાના આંગણામાં આવેલ કાકળના વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો આવે છે. ભક્તો તે ફૂલોની દિશા પરથી આગામી વર્ષની ખેતીવાડીનું અનુમાન લગાવીને આયોજન કરે છે.મહા વદ અમાસ અને મહાશિવરાત્રીનાં આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી ભરાતો આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે.
