Skip to main content
Settings Settings for Dark

જમીન જીવનચક્રનો આધાર: વર્લ્ડ સોઈલ ડે પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ભૂમિ સુપોષણ પર ભાર

Live TV

X
  • વિશ્વ જમીન દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય સંમેલનમાં જણાવ્યું કે જમીનનું આરોગ્ય માત્ર ખેતીનો જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રીય આરોગ્ય અને વિકાસનો પ્રશ્ન છે. તેમણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનને સુપોષિત કરવા પર ભાર મૂક્યો, જેથી અન્ન અને માનવ પણ સુપોષિત બની શકે.

    વિશ્વ જમીન દિવસ નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, હાલોલ દ્વારા 'ભૂમિ સુપોષણ' વિષય પર આયોજિત એક દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રેરક સંબોધન કર્યું હતું.

    રાસાયણિક મુક્ત ખેતી દ્વારા જમીનના આરોગ્ય પર ભાર

    રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે, "જમીન માત્ર ઉત્પાદનનું માધ્યમ જ નહીં, પરંતુ સમગ્ર જીવનચક્રનો આધાર છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જમીન સુપોષિત હશે તો જ અન્ન સુપોષિત થશે અને અન્ન સુપોષિત થશે તો જ માનવ સુપોષિત બનશે.

    તેમણે ચિંતા વ્યક્ત કરી કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને પાણી ધારણ કરવાની ક્ષમતા ઘટી રહી છે. આ ગંભીર પડકારનો સામનો કરવા માટે તેમણે  પ્રાકૃતિક ખેતી અને જૈવિક સંસાધનો (જેમ કે ઘન જીવામૃત અને જીવામૃત) ના ઉપયોગ દ્વારા જમીનને ફરીથી જૈવિક રીતે પોષિત કરવાના રાષ્ટ્રીય અભિયાનને સમયની માંગ ગણાવ્યો.

    પ્રાકૃતિક ખેતીના સકારાત્મક પરિણામો અને યુવા પેઢીની સંવેદનશીલતા

    રાજ્યપાલે દેશના અનેક રાજ્યોમાં થયેલા સંશોધનોનો ઉલ્લેખ કર્યો, જે દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતીના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધવા સાથે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થયો છે.

    તેમણે કૃષિ વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓને પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડીને જમીન સંરક્ષણ માટે મજબૂત કાર્ય યોજનાઓ તૈયાર કરવા સૂચન કર્યું હતું.

    આચાર્ય દેવવ્રતે યુવા પેઢીમાં જમીન સંરક્ષણ પ્રત્યે વધતી સંવેદનશીલતા પર પ્રસન્નતા વ્યક્ત કરી અને તેને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્ય માટે ઉત્સાહજનક ગણાવ્યું.

    ભૂમિ સુપોષણ: રાષ્ટ્રીય આરોગ્ય અને વિકાસનો પ્રશ્ન

    રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે, જમીનના આરોગ્યનો પ્રશ્ન માત્ર ખેતીનો નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રીય આરોગ્ય અને વિકાસનો પ્રશ્ન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશભરના ખેડૂતો આ ભૂમિ સુપોષણ અભિયાનને રાષ્ટ્રહિતના મિશન તરીકે સ્વીકારશે, જે કૃષિને આર્થિક રીતે મજબૂત, સમાજને સ્વસ્થ અને પર્યાવરણને સુરક્ષિત બનાવશે.

    આ સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના વૈજ્ઞાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી મોટી સંખ્યામાં જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply