જાણો કડીનું થોળ તળાવ કેવી રીતે મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું
Live TV
-
ગાયકવાડી સમયમાં નિર્માણ પામેલું મહેસાણા જિલ્લાના કડીનું થોળ તળાવ આજે મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. આ તળાવની ખાસિયતની વાત કરીએ તો વર્ષો પહેલાં પાણીની જરૂરિયાતને સંતોષવા વર્ષ 1912માં ગાયકવાડી સરકાર દ્વારા સિંચાઈના આગવા આયોજનથી આ થોળ તળાવ બાંધવામાં આવ્યું હતું. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત થયો હતો અને અત્યાર સુધીમાં આ તળાવ અહીંના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થયું છે. થોળ તળાવ 700 હેકટરમાં પથરાયેલું છે, જેના પાળાની લંબાઈ 5,620 મીટર એટલે કે 5.62 કિલોમીટરની છે. જ્યારે તળાવની સંગ્રહ શક્તિ 312 મિલિયન ઘનફૂટ છે. તળાવમાં પાણીનો વધારો થાય તો આપોઆપ નિકાલ માટેની પણ યોજના છે. તળાવ માંથી ઓવરફ્લો થયેલા પાણીનો લાભ અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અનેક ગામો સહિત નળ સરોવરને પણ મળે છે. મહત્વપૂર્ણ છે કે, થોળ તળાવ ખુબ મોટા વિસ્તારમાં પથરાયેલું હોવાથી દેશ- વિદેશના પક્ષીઓ પણ શિયાળાની સીઝનમાં અહીં વિહાર કરવા આવે છે. જેથી વર્ષ 1988માં થોળ તળાવ વિસ્તારને પક્ષી અભિયારણ તરીકે પણ જાહેર કરાયું હતું. હાલ ખેડૂતોની સિંચાઇની જરૂરિયાતને પૂર્ણ કરવા અને પક્ષીઓના આશરા માટે નર્મદાના નીર થી થોળ તળાવને પરિપૂર્ણ કરાયું છે.
