જામનગરના ચિત્રકારે કેનવાસ પર કંડાર્યું સુદર્શન સેતુ પર વિચરતા શ્રીકૃષ્ણનું અદભુત ચિત્ર
Live TV
-
કહેવાય છે કે કળાને કોઈ ધર્મ નથી હોતો, જે જામનગરના ચિત્રકાર કે.એફ. અલીએ શ્રીકૃષ્ણનું અદભુત ચિત્ર કેનવાસ પર કંડારીને સાબિત કરી દીધું છે.
જામનગરના ખૂંભિયા ફખરૂદ્દીન અલી (કે.એફ. અલી) નાનપણથી જ ચિત્રકળાનો શોખ ધરાવતા હતા અને પોતાની મહેનતથી ચિત્રકાર બન્યા છે. તેઓ મૂળ આરબલુસના વતની છે અને કૃષ્ણનગરી દ્વારકામાં જીવનનો સુવર્ણ સમય પસાર કરી હાલ જામનગરમાં સ્થાયી થયા છે.કૃષ્ણ ભગવાન પ્રત્યેની અગાધ આસ્થાને પગલે તેમણે અગાઉ પણ દ્વારકા અને કૃષ્ણ લીલાના અનેક ચિત્રો તૈયાર કર્યા છે. તાજેતરમાં તેમણે દ્વારકાના એક કૃષ્ણ ભક્તની માંગ મુજબ ઓખા-બેટદ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુ પર શ્રીકૃષ્ણ પગપાળા ચાલતા હોય તેવું અદ્ભુત કાલ્પનિક ચિત્ર તૈયાર કર્યું છે.કેનવાસ પર એક્રિલિક કલરનો ઉપયોગ કરીને વીસ દિવસના સખત પરિશ્રમ પછી આ ચિત્ર બનાવવામાં આવ્યું છે. સુદર્શન સેતુ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે શ્રીકૃષ્ણને પણ આ સેતુ પર ભ્રમણ કરવાનું મન થયું હોય અને તેઓ પગપાળા ફરવા નીકળ્યા હોય તેવો ભાવ આ ચિત્રમાં અતિ સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યો છે, જે એકદમ જીવંત લાગે છે.
