જામનગરના ધ્રોલમાં ભારે પાણીના વહેણમાં ફસાયેલા બે લોકોને NDRFની ટીમે બચાવ્યા
Live TV
-
ધ્રોલ નજીક નથુવડલા ગામે બે ખેડૂતો ખેતમજૂરી કરતા સમયે ભારે વરસાદ અને પાણીના વહેણમાં ફસાયા હતા
સૌથી વધુ જામનગરનાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પડધરીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં 8 ઈંચ, જોડિયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના ભચાઉમાં 6 ઈંચ, જામનગરમાં 5.72 ઈંચ ખંભાળિયામાં 5.16 ઈંચ વરસાદ નોધાયો છે. લોધિકા અને રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જામનગર જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે.
જામનગરમાં સાંબેલાધાર વરસાદને કારણે નીચાણવાળા ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી..જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે બે ખેતમજૂરો ખેતરમાં મજૂરીકામ કરી રહ્યા હતા તે સમયે પાણીનું ધસમસતુ વહેણ આવવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા..ત્યારે આ અંગે સ્થાનિકોએ જિલ્લા તંત્રને જાણ કરી હતી.જેથી જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વિકાસ અધિકારીઓએ એનડીઆરએફની ટીમને તત્કાલ બોલાવી લીધી હતી.જેથી ફસાયેલા બન્ને ખેતમજૂરોનો બચાવ થયો હતો..ભીમજીભાઈ અને હિમસિંહભાઈ નામના બન્ને ખેતમજૂરોએ એનડીઆરએફની ટીમ અને વહીવટીતંત્રનો આભાર માન્યો હતો..
જામનગર નજીક આવેલા દરેડ ગામનું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર દર વર્ષે જેમ સારો વરસાદ પડે છે ત્યારે નદીના પાણી મંદિરમાં ઘૂસી જાય છે. આ વખતે પણ સારા વરસાદના કારણે મંદિર અડધું પાણીમાં ડૂબી ગયું છે. હજુ પણ પાણીની ધીંગી આવક ચાલુ છે જે રણજીતસાગર ડેમમાં ભળે છે.
મહત્વનુ છે કે એનડીઆરએફની કુલ 9 ટીમ ગુજરાતમાં ફાળવાઈ છે..જેમાં ત્રણ ટીમો સુરત, નવસારી અને વલસાડ ડીપ્લોય કરાઈ છે..જ્યારે અન્ય છ ટીમો અનુક્રમે ભૂજ, રાજકોટ, જામનગર,દ્નારકા,પોરબંદર અને ગીરસોમનાથમાં તૈનાત કરવામાં આવી છે..
અવિરત મેઘવર્ષાના પરિણામે આખા જિલ્લામાં નદી, વોકળા અને તળાવોમાં પાણીનો પ્રવાહ પણ સતત ચાલુ રહ્યો હતો. આથી જિલ્લાની સંખ્યાબંધ નદીઓમાં પુર આવ્યા છે તેમજ આજી-4 અને ઊંડ-1 ડેમમાંથી તો પાણી પણ છોડવું પડ્યું છે. આ ઉપરાંત અન્ય ડેમોમાં પણ પાણીની આવક સોમવારની મોડીરાત્રે પણ સતત ચાલુ જ રહી છે.
