જામનગર : કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સચાણા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ
Live TV
-
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા તથા પ્રોજેકટ લાઈફના સહયોગથી 121 શાળા પૈકીની 103મી શાળાની અર્પણવિધિ સંપન્ન
જામનગર તાલુકાના સચાણા ગામે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લી.મુંબઈ તથા પ્રોજેકટ લાઈફના સહયોગથી નિર્માણ પામેલ નવીન પ્રાથમિક શાળાના ભવનનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, એમ.સી.એક્સ.તથા લાઈફ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારમાં શાળાનું નિર્માણ કરાયું તે ખૂબ પ્રશંસનીય બાબત છે. કોઈપણ સમાજ માટે સર્વાંગી વિકાસનો પ્રથમ પાયો શિક્ષણ છે સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને ડ્રોપ આઉટ રેસીયો ઝીરો થાય તે માટે સરકાર પણ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવા વર્ગખંડો, નવી શાળાઓ, પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી સહિતના અનેક પગલાંઓ લઈ રહી છે ત્યારે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રામજનો પણ સરકારના આ શિક્ષા અભિયાનમાં સહભાગી થઈ બાળકોને શિક્ષિત બનાવે તે જરૂરી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ વિકસિત થાય તે માટે હાલ આયોજન થઈ રહ્યા છે.જેનાથી ગામ લોકોને રોજગારી મળવાની સાથે વિકાસના નવા દ્વાર પણ ખુલશે. મંત્રીએ આ તકે શાળાના નિર્માણમાં સહભાગી થવા બદલ એમ.સી.એક્સ.ના સી.ઈ.ઓ. પી.એસ.રેડ્ડી તથા પ્રોજેક્ટ લાઇફના ફાઉન્ડર કિરીટ વસાનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
