જુનાગઢ શહેર આજે ઉજવી રહયું છે પોતાનો ૭પમો સ્વતંત્રતા દિવસ
Live TV
-
9 નવેમ્બર 1947 નાં રોજ ગિરનારની તળેટીમાં સ્થાપિત જુનાગઢ રજવાડાંનો ભારત સંઘમાં સમાવેશ થયો હતો. જુનાગઢ જિલ્લાએ ગુજરાતનાં સાતમાં મોટા શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. પ્રાચીન ગુજરાતી કવિ દયારામે તો પોતાનાં કાવ્ય રસિકવલ્લભમાં જુનાગઢને ‘જીર્ણગઢ’ તરીકે સંબોધ્યો છે. ‘જીર્ણગઢ’ એટલે કે સૌથી જુનો, એટલે જ તે જુનાગઢ તરીકે ઓળખાય છે. જુનાગઢ એટલે જેની ભૂમિ પર નરસિંહ મહેતા જેવાં ભક્ત અવતર્યાં, વલ્લભાચાર્યનું આગમન થયું, રામાનંદ જેવાં સંતોનું રહેઠાણ, રાણકદેવી જેવાં સતીનાં બલિદાનો તેમજ રા’નવઘણ જેવાં શૂરવીરોનું માવતર.
દેવઊઠી અગિયારસથી દેવદિવાળી સુધી જુનાગઢ પરિક્રમાવાસીઓથી ભરાયેલું રહે છે. આ પાંચ દિવસોમાં ભારતભરથી ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા માટે આવે છે.
એક માન્યતા મુજબ ભોજન માટે પ્રાણીઓની હિંસા થતાં જોઇને જૈન ધર્મનાં 22 માં તીર્થંકર નેમિનાથજીએ વૈરાગ્ય લીધું અને ગિરનારમાં સાધના કરવા જતાં રહ્યાં, ત્યાં તેમને જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઇ. આજે પણ ગિરનાર પર્વત અહાલેકનાં નાદ અને જૈન મંદિરોનાં ઘંટારવથી સતત ગૂંજતો રહે છે. જુનાગઢમાં દામોદર કુંડ, ભવનાથ મંદિર, નરસિંહ મહેતાનો ચોરો, ખાપરા-કોડીયાની ગુફાઓ, બાબા પ્યારેની ગુફાઓ, અશોકનાં શિલાલેખ જેવાં અનેક જોવાલાયક સ્થળ છે જેનો ઇતિહાસ સુર્વણ રહ્યો છે.
જુનાગઢની મધ્યમાં ત્રીજી સદીનાં મોર્ય સામ્રાજ્ય દ્વારા સ્થાપિત ઉપરકોટનો કિલ્લો આવેલો છે. જ્યારે ગિરનારનાં ઘટી ઘટુકો સ્થળ પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ સ્થાપિત છે. આ ઉપરાંત જુનાગઢમાં સૂરજ કુંડ, કપિલધારા કુંડ, કમંડલ કુંડ, સીતા કુંડ, રામ કુંડ જેવાં અનેક પ્રાચીન સ્થાન આવેલાં છે.
