ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં યોજાશે તરણેતરનો મેળો, પૂરજોશમાં તૈયારી
Live TV
-
ત્રીજથી લઈને છઠ સુધી યોજાય છે વિશ્વ પ્રસિદ્ધ તરણેત્તર મેળો
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવનુ મંદિર આવેલું છે. આજ જગ્યાએ ભાદરવા સુદ ત્રીજથી લઈને છઠ સુધી વિશ્વ પ્રસિદ્ધ તરણેત્તર મેળો યોજાય છે. આ મેળો આ વખતે આગામી તા. 1 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી યોજાશે.
આ મેળામાં વિવિધ ગ્રામીણ રમતો સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. જેમાં કબડ્ડી, ખોખો, દોડ, દોરડા ખેંચ, કુસ્તી તેમજ રાસ મંડળી વચ્ચે સ્પર્ધાઓ થાય છે. આ મેળો દિવસ અને રાત એટલે કે સતત ચોવીસ કલાક ચાલે છે. મંદિરના પટાંગણમાં આવેલ કુંડની અંદર પાંચમના દિવસે સ્નાનનું અનેરું મહત્વ હોવાથી આ કુંડમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન પણ કરે છે. આ વખતે સરકાર દ્વારા આ મેળો પ્લાસ્ટિક મુક્ત યોજાય તેવા પ્રયત્નો કરાયા છે.સાથે સ્વછતા ઉપર ધ્યાન પણ વિશેષ ધ્યાન અપાશે. મેળામાં લોકોને આવવા અને જવા માટે પુરતી એસ.ટી.બસની વ્યવસ્થા પણ કરાઈ છે. આ સાથે સલામતી માટે મેળામાં પોલીસ બંદોબસ્તની પણ પૂરતી વ્યવસ્થા છે.
તરણેતરનો લોકગીત, દુહા અને લોકનૃત્યથી ભરપૂર મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જાણવા અને માણવા માટે દેશવિદેશમાંથી લોકો તરણેતરનો મેળો માણવા માટે આવે છે. તરણેતરના મેળામાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવે છે તેમજ કુંડમાં નાહીને ગંગામાં નાહ્યા બરાબરનું પુણ્ય માને છે. આ પવિત્ર દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે
