દાંતીવાડા જળાશય યોજના અંતર્ગત પાંચ પાણ સાથે 17,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ઉપલબ્ધ કરાવવા આયોજન
Live TV
-
દાંતીવાડા જળાશય યોજના અંતર્ગત રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારો પાણી મેળવવા બાબતની અરજી કરી શકશે.
પાટણ જિલ્લાના બાગાયતદારો વર્ષ 2020-21માં રવિ સિઝન માટે સિંચાઈનું પાણી મેળવી શકે તે માટે દાંતીવાડા જળાશય યોજના અંતર્ગત પાંચ પાણ સાથે 17,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવામાં
આવ્યું છે. જેથી સિંચાઈ માટે પાણી મેળવવા માંગતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોએ નિયત નમુના ફોર્મ-૭ માં જરૂરી વિગત દર્શાવી, તેમના વિસ્તારના સેકશનલ ઓફીસર અથવા કારકુનોને આગામી તા.૩૦ નવેમ્બર સુધી રૂબરૂમાં પહોંચાડવાની રહેશે.સિંચાઈના પાણી માટે અરજીની સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સિઝનનો આગોતર સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. તે સિવાયની અરજી સ્વિકારવામાં આવશે નહીં. ચાલુ વર્ષે પ્રતિ પાણ દીઠ રૂ.308 તથા 20 % લોકલફંડ રૂ.61.60 મળી કુલ રૂ.369.60 પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે. દાંતીવાડા જળાશય યોજનાના બાગાયતદારોએ સિંચાઈ માટેની અરજી કર્યા બાદ પાણીનો પાસ મેળવી લેવાનો
રહેશે. પાણીના પાસ સિવાય પાણી આપવામાં આવશે નહીં. વધુમાં ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી જે તે ખેડૂતની પોતાની રહેશે. તે બાબતની કોઈ તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં તેમ ડીસા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
