નડિયાદ જંકશન સ્ટેશન પર રૂ.2.25 કરોડના રેલવે ફુટ ઓવર બ્રિજનું મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ
Live TV
-
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ જંકશન સ્ટેશન પર 2.25 કરોડના નવનિર્મિત રેલવે ફુટ ઓવર બ્રિજનું કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પશ્ચિમ રેલવે ડિવિઝન, વડોદરાના ડી.આર.એમ.અમિતકુમાર ગુપ્તા સહિત રેલવેના અન્ય અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, અંદાજીત 2.25 કરોડના ખર્ચે નડિયાદ સ્ટેશન પર આ ફુટ ઓવર બ્રિજ બનાવાયો છે. જેનું આજે લોકાર્પણ કરાયું છે. ફુટ ઓવર બ્રિજની બંને બાજુ લિફ્ટ્નું કામ પણ પૂર્ણ થવામાં છે. આ ઉપરાંત, ગુજરાત ગૌરવયાત્રા દરમિયાન કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવજીએ નડિયાદની મુલાકાત લીધી હતી ત્યારે નડિયાદ એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ હોવાથી તેમની સ્મૃતિની થીમ પર નડિયાદ રેલવે સ્ટેશનને વિશ્વ સ્તરીય ઓપ આપી તેનું બાંધકામ કરવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી તથા એ દિશામાં ડિઝાઇન સહિતની કામગીરી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આશીર્વાદ આપ્યા છે ત્યારે આ કાર્ય પણ આગામી સમયમાં ઝડપથી હાથ ધરાશે.નડિયાદ પૂર્વ પશ્ચિમને જોડતો બ્રિજ પણ સ્ટેશન પર બનાવવાની યોજના પણ આ કાર્યમાં સમાવિષ્ટ થાય તેવી વિચારણા હોવાનું કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું હતું. નડિયાદ સ્ટેશન પર નવનિર્મિત ફુટ ઓવર બ્રિજનો મુસાફરો ઉપયોગ કરે અને રેલવે ટ્રેક પર પાટા ઓળંગી નિયમો તોડવાનું ટાળી જીવન સલામતી અને પોતાના પરિવારનો ખ્યાલ રાખવા પણ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણે અપીલ કરી હતી.
