પરપ્રાંતિયોના ગુજરાત છોડવા મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું
Live TV
-
રેલવે સ્ટેશન પર કલેક્ટર અને પોલીસ અધિક્ષકે પલાયન કરતા પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી આપી, ગુજરાત નહીં છોડવા સમજાવ્યા
ગુજરાતમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પરપ્રાંતિયો પર વધી રહેલા હુમલાને કારણે તેઓ ગુજરાત છોડીને જઈ રહ્યા છે. વતન તરફ જઈ રહેલા પરપ્રાંતિયોની બાબતે સરકારે સામાજિક સૌહાર્દનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડતાં પરપ્રાંતિયોને પુરતી સુરક્ષાની બાંહેધરી આપી છે. આણંદ રેલવે સ્ટેશન પર કલેક્ટર અને પોલીસ અધિક્ષકે પલાયન કરતા પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી આપી, ગુજરાત નહીં છોડવા સમજાવ્યા હતા.
મોટા ભાગના લોકો તહેવાર હોવાને કારણે વતન જઈ રહ્યા હોવાનું જણાયું હતું. મહેસાણામાં પણ રેન્જ આઈ.જી. મયુરસિંહ ચાવડાએ રેલવે સ્ટેશન પર પહોંચી, પરપ્રાંતિયો સાથે ચર્ચા કરીને, તેઓને સમજાવ્યા હતા. અને ગુજરાત ન છોડવા કહ્યું હતું. આ તરફ અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ કલેક્ટર ડૉક્ટર વિક્રાંત પાંડે અને રેલવે સલામતીના અધિકારીઓએ પરપ્રાંતિયો સાથે રૂબરુ મુલાકાત કરી હતી..અને સુરક્ષા અને સલામતીની ખાતરી આપી હતી.
જો કે અનેક લોકોએ એવું કહ્યું હતું , કે અમે ભય કે ડરને કારણે નહીં , પરંતુ અંગત કારણોસર અને પારિવારિક પ્રસંગે અને તહેવારો મનાવવા માટે વતન જઈ રહ્યા છીએ. રાજ્ય સરકાર તમામ લોકોને સુરક્ષા આપવા કટિબધ્ધ છે , પરંતુ કેટલાક અસામાજિક તત્વો , રાજ્યમાં સદભાવના અને ભાઈચારાનું વાતાવરણ બગાડી રહ્યા છે. અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા , વહિવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
