પાટણમાં 22 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે મોટી સંખ્યામાં પદાધિકારીઓ જોડાશે
Live TV
-
પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે જિલ્લામાં ચાર રથ ગ્રામીણ વિસ્તારમાં ફરશે.
પાટણ જિલ્લામાં 22 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે જિલ્લામાં ચાર રથ ગ્રામીણ વિસ્તારમાં ફરશે. સિદ્ધપુર તાલુકાની કોટ ગ્રામપંચાયત, સરસ્વતી તાલુકાની ખલીપુર ગ્રામપંચાયત, ચાણસ્મા તાલુકાની રૂપપુર ગ્રામપંચાયત જયારે સામી તાલુકાની ગોચનાદ ગ્રામપંચાયતથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પદાધિકારીઓ જોડાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે મળેલી બેઠકમાં યાત્રા સંદર્ભે તમામ બાબતોથી ઉચ્ચ અધિકારીઓને અવગત કરવામાં આવ્યા હતા. જયારે યાત્રાના રૂટથી લઇ યાત્રા ગામમાં પ્રવેશે ત્યાંથી લઇ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી. આ યાત્રા માટે જિલ્લામાં ચાર ડિજિટલ રથ ફાળવવામાં આવ્યા છે. જે રથ ગ્રામીણ વિસ્તારમાં ફરી વિકસિત ભારત માટે થઇ રહેલા પ્રજાલક્ષીકામ અને યોજનાકીય બાબતોથી લોકોને અવગત કરશે. કલેકટર પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ યાત્રા દરમ્યાન પ્રજાલક્ષી મહત્વની બાબતોથી લાભાર્થીઓ અવગત થાય તે પ્રકારનું આયોજન આવશ્યક છે. જેથી જે રૂટ પર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રહે ત્યાં મોટી સંખ્યમાં પ્રજાજનો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહે તે પ્રકારના સુચારુ આયોજન માટે સૂચન કર્યું હતું.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર.કે.મકવાણા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નોડલ ઓફિસર ડૉ.કલ્પના ચૌધરી, તમામ પ્રાંત અધિકારી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
