ભારતીય કિસાન સંઘના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સમિતિ બનાવાઈ: CM
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય કિસાન સંઘ-ગુજરાત પ્રદેશ દ્વારા રજૂ થયેલા રાજ્યના ખેડૂતોના અગત્યના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 10 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કિસાન સંઘની રજૂઆતો સંદર્ભે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સંબંધિત વિભાગોના અધિકારીઓ, અને સંઘના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અગાઉ તારીખ 3 અને 4 ઓક્ટોબરે બેઠક યોજીને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ સંદર્ભમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને અનુલક્ષીને સરકાર દ્વારા વિધેયાત્મક નિર્ણયો લેવાના દિશાનિર્દેશો આપ્યા હતા. જે બાદ રાજ્યમંત્રી મંડળના 3 મંત્રીઓ સહિત 10 સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓને સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. ઉપરાંત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ-વિભાગના અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના તેમજ, ઊર્જા વિભાગના અગ્ર સચિવની, તથા પશુપાલન અને સિંચાઈ વિભાગના સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
