ભાવનગરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ગઢડાની ઘેલો નદી બે કાંઠે
Live TV
-
શેત્રુંજી ડેમ 80 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. સિંહોરને જોડાતા ગામો સંપર્ક વિહોણા, 31 લોકોનું રેસ્ક્યુ કરાયું. જ્યારે વલ્લભીપુર-ધંધુકા હાઈ-વે બંધ કરવામાં આવ્યો.
ભાવનગર જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના કાળુભાર ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુર માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણામા આવેલો ખારો ડેમ ઓવરફલો થતા આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. હાલ શેત્રુંજી ડેમમાં 94 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 31.3 ફૂટ પર પહોંચી છે તેમજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે વહેતા નદીમાં કાર તણાઈ હતી. સદનસીબે, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો...
બોટાદ, અમરેલી, દ્વારકા અને સુરેન્દ્રનગરમાં મેઘમહેર
બોટાદ જીલ્લામાં ભારે વરસાદના કારણે જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સગાવદર ગામમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. જેમાં 7 લોકો સવાર હતા. કારમાંથી 2 લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે, જયારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. તો બીજી તરફ ગઢડા શહેરની જીવાદોરી સમાન ઘેલો નદી પરનો રમાઘાટ ઓવરફલો થયો હતો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ નદી બે કાંઠે થઇ હતી.
અમરેલીમાં ચોમાસાના પ્રારંભે જ બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. રાજુલા અગરિયા જકાતનાકા પાસે પૂર જેવી સ્થિતિ જોવા મળી છે અને વરસાદમાં વીજળીનો થાંભલો પડી ગયો હતો તેમજ વાયર રસ્તા પર આવી ગયા હોવાથી સતર્કતાના કારણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વરસાદને કારણે ધાતરવાડી ડેમમાં 3 ભેંસ ડૂબી ગઈ હતી. રાજુલા શહેરનો સમગ્ર વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હોવાથી PGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી સમારકામ શરૂ કર્યું છે. જ્યારે સાવરકુંડલા નજીક મેરામણ નદીમાં પૂર આવતા ખાનગી બસ ફસાઈ હતી. જેમાં સ્થાનિકો દ્વારા 5 મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
દ્વારકા જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરાત્રીએ દ્વારકાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તો આજ સવાર સુધીમાં દ્વારકામાં બે ઇચ વરસાદ નોંધાયો હતો, સાથે જ કલ્યાણપુરમાં પોણા ત્રણ ઇચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે. જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં એક ઇંચથી લઈને છ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો...