મારું કરુણાભર્યું મન મોરબીના પીડિત પરિવારોની સાથે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
ગુજરાત સરકારે તમામ તાકાતથી બચાવ અને રાહત કામગીરી ઉપાડી છે મુખ્યમંત્રી જાતે રાહત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે ભારત સરકાર આ સંકટ સમયે ગુજરાતને તમામ મદદ કરશે તેવું એકતા દિવસ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. હું એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે છે તેવા કરૂણાભર્યા શબ્દો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એકતા નગરમાં સરદાર જયંતીના રાષ્ટ્રીય એકતા પર્વ પ્રસંગે મોરબીની દુર્ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જીવનમાં ઘણી ઓછી વાર મેં આવી પીડા અનુભવી છે, દિલ દર્દથી ભરેલું છે અને બીજી તરફ કર્તવ્ય પથની વ્યસ્તતા છે. મારું કરુણાભર્યું મન પીડિત પરિવારો સાથે છે.
ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલ રાત્રિથી જ મોરબીમાં છે. તેઓ રાહત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારતીય સેનાના એકમો અને એન.ડી.આર.એફ ની ટુકડીઓ બચાવ અભિયાનમાં જોડાઈ છે. હોસ્પિટલોમાં ઘાયલોની જરૂરી કાળજી લેવામાં આવી રહી છે. ગુજરાત સરકારે તેની તમામ તાકાત બચાવ અને રાહતમાં લગાડી છે. આ સંકટની ઘડીએ ભારત સરકાર તમામ રીતે પીડિત પરિવારોની સાથે છે અને કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે રહેશે. તેમણે કહ્યું કે આખો દેશ આજે વેદના અનુભવી રહ્યો છે. મોરબીના પીડિતોના દુખે દુઃખી થતો દેશ રાષ્ટ્રીય એકતાની શ્રેષ્ઠ ભાવના પ્રદર્શિત કરે છે.
બચાવ અને રાહતના કામમાં કોઈ ઉણપ રાખવામાં નહિ આવે. સરદાર સાહેબે મુશ્કેલીઓનો સહકારથી મુકાબલો કરવાની પ્રેરણા આપી છે. આ પ્રેરણા આ સંકટમાં પ્રેરક બળ બની રહી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરવાની સાથે બચાવ અને રાહતમાં સામે ચાલીને જોડાયેલા લોકો અને સંસ્થાઓને બિરદાવ્યા હતા.
