મોરબી દુર્ઘટનાને લઈને 2 નવેમ્બરનો દિવસ રાજયવ્યાપી શોક તરીકે જાહેર
Live TV
-
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકને લઈને 2 નવેમ્બરનો દિવસ રાજયવ્યાપી શોક તરીકે જાહેર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોરબીની મુલાકાત લીધી હતી. તેઓએ ઘટના સ્થળે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રધાનમંત્રીએ પિડીત પરિવારની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ઝુલતો બ્રીજ તુટવાના કારણે 133 લોકોના મૃત્યુ થતા પ્રધાનમંત્રીએ દુખ વ્યક્ત કર્યું હતું અને તમામને જરૂરી મદદની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 2 લાખ અને અસરગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. તેમાં દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટનાની ઊંડાણ પૂર્વકની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરી છે. પ્રધાનમંત્રીએ અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
