રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શરૂ
Live TV
-
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાયપુર, ખાડિયા, ઢાળની પોળ વગેરે વિસ્તારોમાં પતંગ રસિકોને મકાન માલિકો ધાબા ભાડે આપી રહ્યાં છે. ધાબા માલિકો દ્વારા બે દિવસનું ધાબાનું ભાડું નક્કી કરાય છે અને તેમાં જમવાનું પણ આપવામાં આવતું હોય છે. બે દિવસના ધાબાનું ભાડું રૂપિયા 5થી 7 હજાર સુધીનું બોલાય છે. તો બીજી તરફ રાયપુર દરવાજા ખાડિયા વિસ્તારમાં હજુ પણ પતંગ રસિકો ખરીદી કરી રહ્યાં છે.
ઉત્તરાયણના તહેવાર પર તલ સાંકળી, જલેબી અને ઊંધિયું ખાવાની ગુજરાતીઓની પહેલાથી જ પરંપરા રહી છે. ત્યારે આજે સવારથી જ સુરતના અલગ અલગ વિસ્તારમાં ઊંધિયું અને જલેબી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. સુરતના ચોટા બજારમાં ફરસાણ વિક્રેતાએ જણાવ્યું હતું કે, 100 કિલો જેટલો એડવાન્સ બુકીંગ ચાલી રહ્યું છે. રાજકોટ, વડોદરા, દુબઈમાં પણ સુરતનું ઉંધિયું મોકલવામા આવે છે. જોકે આ વખતે શાકભાજીના ભાવ વધતા ઊંધિયાની કિંમતમાં કિલોએ 40 રૂપિયા જેટલો ભાવમાં વધારો થયેલો છે
ઉત્તરાયણના તહેવારને લઈને ખેડા જિલ્લામાં આ વર્ષે પતંગ,ફીરકી, ચશ્મા, ચીક્કી ના ભાવમાં વધારો નોંધાયો છે. જેના પરીણામે વેપારીને ઓછો નફો મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નડીયાદમાં અનોખી ફીરકી આકર્ષણનું કેન્દ્ર બની હતી. નવીન પદ્ધતિ પ્રમાણે હવે આ ફીરકીમાં દોરો વીટવાની જરૂર નથી. ફક્ત બટન દબાવો અને ફીરકી ગોળ ફરવા લાગે છે. જ્યારે ગોગલ્સ માટે અને તલ તથા સીંગની ચીકીના વેચાણનું પ્રમાણ વધ્યું છે. આજે ઉતરાયણ છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ઉતરાયણના દસ દિવસ અગાઉ વેપાર ધંધો હોય પરંતુ આ વર્ષે છેલ્લા બે દિવસથી જ ઘરાકી નીકળી છે.
