રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર : મોટા ભાગના નદી-નાળા, તળાવ અને ડેમો છલકાયા
Live TV
-
તમામ ડેમોમાં પાણીની આવક વધી : રાજ્યના 17 ડેમ 100% અને 42 ડેમ 70%થી વધારે ભરાયા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના તમામ ડેમોમાં પાણીની આવક વધી છે.જેમાં રાજ્યના 17 ડેમ સો ટકા ભરાયા ભરાયા છે જ્યારે 42 ડેમ 70 ટકાથી વધુ ભરાયા છે. તેમજ મોરબીનો મચ્છુ , જામનગરના ડેમી-3 ,ઉંડ-1, 2 અને 3,સબૂરી, કંકાવટી ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ કેટલાક નીચાંવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચન પણ આપવામાં આવ્યા છે.જયારે રાજકોટમાં 24 કલાકમાં પડેલ ભારે વરસાદથી ભાદર સિવાયના તમામ ડેમ અને તળાવો પણ ઓવરફ્લો થયા છે.રાજકોટમાં ન્યારી-1 ડેમમાં 2.50 ફૂટ , આજી-1 ડેમમાં 1.80 ફૂટ, ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નિરની આવક થવા પામી છે. ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા દસ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ન્યારી-2 ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.આ વર્ષે સારા વરસાદથી અત્યાર સુધીમાં જ કુલ 60 ટકા જળ સંગ્રહ થઇ ગયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ડેમના કુલ આઠ ગેટ ખોલવામાં આવ્યા છે. હાલની નર્મદા ડેમની સપાટી 131.65 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1 લાખ 89 હજાર 244 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા નદીમાં એક લાખ 23 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કડાણા ડેમની જળ સપાટી રૂલ લેવલથી ઉપર પહોંચી છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 30 હજાર 426 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી જળસ્તર 413.5 ફૂટ ઉપર પહોંચ્યું છે અને ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે.
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં , ડેમમાં પાણીની આવકમાં, ધીરે ધીરે ધટાડો નોંધાયો છે. ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 337.07 ફૂટ નોંધાઈ છે. ડેમમાં 2 લાખ 89 હજાર 283 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે 1 લાખ 94 હજાર 35 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. હાલ ઉકાઈ ડેમના 13 દરવાજા સાડા આઠ ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ધોરાજી અને જામ કંડોરણા પંથકના 52 ગામોનું પીવાનું પાણી પૂરૂં પાડી રહેલા ફોફર ડેમમાં નવા નીરની આવક થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસના વિસ્તારમાં વરસાદ થતાં આ પંથકના જીવાદોરી સમાન ડેમમાં નવા નીરની આવક થતાં, રાજ્યમંત્રી જયેશ રાદડિયાએ શ્રીફળ અને પુષ્પથી નવા નીરને વધાવ્યા હતા. મેઘરાજાની મહેર થતાં પંથકમાં પીવાના પાણીનું સંકટ દૂર થયું છે.
