રાજ્યમાં હવે બનશે 70 માળની ઈમારતો, જાણો નવા બાંધકામના અન્ય નિયમો
Live TV
-
નવા બાંધકામમાં પાર્કિંગમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગની ફેસિલિટી હશે ફરજિયાત
ગુજરાતમાં પણ હવે સિંગાપોર અને દુબઈની જેમ ગગનચુંબી ઈમારતો દેખાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્યના પાંચ મહાનગરો જેવા કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં ગગનચૂંબી ઇમારતો, આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે.
રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો અનુસાર વધુમાં વધુ રરથી ર૩ માળની ઉંચી ઈમારતોને બદલે હવેથી ૭૦ થી વધુ માળની ઇમારતોનું નિર્માણ થઇ શકશે. મહાનગરો પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ કરવાનો નિર્ણય કરાયો છે.
મહાનગરોમાં ઊંચી ઇમારતો સંદર્ભે જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ પણ કરી છે. જે ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. ગગનચુંબી ઈમારતોની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના પણ કરાશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશિયલ ટેકનીકલ કમીટી દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.
મહત્વપૂર્ણ છે કે, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાના પગલે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર થવાના કારણે શહેરોમાં મકાનોની માંગમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થાય તેમજ સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે તેવા તમામ વિકાસલક્ષી અભિગમથી રાજ્ય સરકારે ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટેની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. તો આ અંગે ગાઇહેડના પ્રેસિડેન્ટ જક્ષય શાહે દૂરદર્શન સાથે ખાસ ટેલિફોનિક વાત કરી હતી.
