વડોદરાને PM મોદીની 35 હજાર કરોડથી વધુની વિકાસ ભેટ
Live TV
-
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ; PM મોદીએ કહ્યું- ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવી રહ્યા છીએ
વડોદરાના આંગણે આજે વિકાસ અને વિશ્વાસનો ઐતિહાસિક ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, મેન્યુફેક્ચરિંગ, કૌશલ્ય વિકાસ અને યુવાનો માટેની નવી તકો અંગે વાત કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ ક્ષેત્રોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના નાગરિકોએ ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું, જેને PM મોદીએ બિરદાવ્યું હતું.
2800 કિલોમીટર લાંબો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પૂર્ણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં 2800 કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ઐતિહાસિક પૂર્ણતાને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પેસેન્જર અને ફ્રેઇટ ટ્રાફિકને અલગ કરવાથી માલગાડીઓની અવરજવર ઝડપી બનશે અને દેશના વેપાર તથા લોજિસ્ટિક્સને નવી ગતિ મળશે. PM મોદીના જણાવ્યા અનુસાર, ફ્રેઇટ કોરિડોર પર દરરોજ 430થી વધુ માલગાડીઓ દોડી શકે છે. માલ પરિવહન માટે લાગતો સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ટ્રક દ્વારા આશરે 30 કલાક લાગતા પરિવહનને ફ્રેઇટ કોરિડોરના કારણે લગભગ 10થી 12 કલાકમાં પૂર્ણ કરી શકાય છે. આ વ્યવસ્થાથી બળતણની બચત, નૂર ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણને પણ ફાયદો થવાની શક્યતા છે.
ખેડૂતો અને વેપારને પણ મળશે લાભ
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માત્ર ઔદ્યોગિક માલસામાનના પરિવહન માટે જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમ ભારતના ખેડૂતો હવે ઝડપથી બગડી જતા ફળો, શાકભાજી અને ફૂલોને મોટા બજારો અને મંડીઓ સુધી ઝડપથી પહોંચાડી શકશે. ખાસ કરીને મોસમી અને ઝડપથી બગડી જતા કૃષિ ઉત્પાદનોનું ઝડપી પરિવહન ખેડૂતોને વધુ સારા બજાર સુધી પહોંચવામાં મદદરૂપ બની શકે છે.
JNPTથી વડોદરા સુધી ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેન
પ્રધાનમંત્રીએ JNPT પોર્ટથી વડોદરા સુધી ડબલ-સ્ટેક કન્ટેનર ફ્રેઇટ ટ્રેનના સફળ સંચાલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક જ ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેન દ્વારા મુંબઈથી સીધા 250થી વધુ ટ્રકો જેટલો માલ પરિવહન કરી શકાય છે. આ પ્રકારની ઝડપી અને મોટા પાયે માલ પરિવહન વ્યવસ્થા દેશના લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ કાર્યક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આદિવાસી વિસ્તારો સુધી રેલવે કનેક્ટિવિટી
પ્રધાનમંત્રીએ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના એવા આદિવાસી વિસ્તારોમાં નવી રેલવે સેવાઓ પહોંચાડવાની પણ વાત કરી હતી જ્યાં અગાઉ રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ નહોતી. આ સંદર્ભમાં છોટા ઉદેપુર અને અલીરાજપુર જેવા વિસ્તારોને નવી રેલવે સેવાઓથી મળનારા લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મેન્યુફેક્ચરિંગમાં વડોદરાની મહત્વપૂર્ણ ભૂમિકા
વડોદરાના ઔદ્યોગિક વારસાને યાદ કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે શહેરનો 150 વર્ષથી વધુનો ઔદ્યોગિક વિકાસનો વારસો છે અને છેલ્લા બે દાયકામાં વડોદરા મહત્વપૂર્ણ MSME હબ તરીકે પણ વિકસ્યું છે. વડોદરાને ભારતના પ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત સૈન્ય પરિવહન વિમાન C-295 સાથે જોડાયેલું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવતા તેમણે જણાવ્યું હતું કે આ વિમાને વડોદરાની ધરતી પરથી પ્રથમ ઉડાન ભરી હતી.
‘ચિપથી શિપ’ સુધી મેન્યુફેક્ચરિંગ પર ભાર
પ્રધાનમંત્રીએ ભારતના વધતા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દેશ હવે રેલવે કોચ, વેગન અને લોકોમોટિવ જેવા ક્ષેત્રોમાં મોટા ઉત્પાદક તરીકે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 2014 બાદ દેશમાં 50,000 આધુનિક રેલવે કોચનું ઉત્પાદન થયું છે અને રેલવે નેટવર્કમાં આશરે 2.5 લાખ વેગન ઉમેરવામાં આવ્યા છે. સોલર પીવી મોડ્યુલ્સના સ્થાનિક ઉત્પાદન, ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવા પ્રયાસોનો ઉલ્લેખ કરીને PM મોદીએ કહ્યું હતું કે ભારત હવે “ચિપથી લઈને શિપ સુધી” મેન્યુફેક્ચરિંગની નવી ગાથા લખી રહ્યું છે.
AI અને યુવાનો માટે નવી તકો
પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માત્ર IT ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રાખતા કૃષિ, આરોગ્યસંભાળ અને રોબોટિક્સ સહિતના ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોને AI માટે તૈયાર કરવા અને નવી ટેક્નોલોજીમાં કૌશલ્ય વિકસાવવા માટે વ્યાપક પ્રયાસો જરૂરી છે. બદલાતા વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર પરંપરાગત ડિગ્રી પૂરતી ન હોવાનું જણાવી તેમણે સતત કૌશલ્ય અપગ્રેડ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મફત કોચિંગ
પ્રધાનમંત્રીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે મફત કોચિંગની પહેલ અંગે પણ વાત કરી હતી. તેનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર કોચિંગના આર્થિક બોજને ઘટાડવાનો છે. તેમણે યુવાનોની આકાંક્ષાઓને ટેકો આપવા સરકારની જવાબદારી પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિકાસ કાર્યોને ગણાવ્યા મહત્વપૂર્ણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને આપવામાં આવેલી ₹35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટને ગુજરાતની પ્રગતિ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશન, કનેક્ટિવિટી, આવાસ, પાણી પુરવઠો, રોડ-રસ્તા અને શહેરી વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સથી ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ મળશે. મુખ્યમંત્રીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને કૃષિ ઉત્પાદનો, ઔદ્યોગિક ઉત્પાદનો અને અન્ય લોજિસ્ટિક્સ પરિવહનને સરળ તથા ઝડપી બનાવનારો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમણે વડાપ્રધાનની વિઝનરી લીડરશિપ હેઠળ એક સમયે અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી સાકાર થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
રેલવેના આધુનિકીકરણમાં મોટો બદલાવ: અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2014 પહેલાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ એક કિલોમીટર પણ પૂર્ણ થયું નહોતું, જ્યારે હવે સમગ્ર ફ્રેઇટ કોરિડોરનું કામ આગળ વધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રેલવેમાં સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેક, વીજળીના વાયર, સિગ્નલિંગ અને ઓપરેટિંગ સિસ્ટમ સહિત સમગ્ર વ્યવસ્થાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. વૈષ્ણવે વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત અને કાર્ગો ટ્રેન જેવી નવી સેવાઓનો ઉલ્લેખ કરીને ભારતીય રેલવેમાં થઈ રહેલા પરિવર્તનને રેખાંકિત કર્યું હતું.
બુલેટ ટ્રેન અંગે પણ મોટી જાહેરાત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ સાથે ભારતમાં બુલેટ ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતમાં બનેલી બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવશે અને ત્યારબાદ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડોદરાથી રતલામના રૂટ માટે રેલવેના વિસ્તરણ અને આધુનિકીકરણના કામનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વિકાસના નવા અધ્યાયની શરૂઆત
વડોદરામાં યોજાયેલ આ કાર્યક્રમમાં રેલવે, રોડ, કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ, ઊર્જા અને કૌશલ્ય વિકાસ જેવા અનેક ક્ષેત્રોને આવરી લેતા વિકાસ પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકાસની ગતિ સતત જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગ જોષી, મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
