વધતાં સંક્રમણ વચ્ચે સુરત અને વડોદરામાં લોકડાઉનનો સખ્તાઈથી અમલ
Live TV
-
પોલીસે વડોદરાના માંડવી સહિતના વિસ્તારોમાં દેશભક્તિના ગીતો સાથે તેમજ જુસ્સા વધારતી શાયરીઓ અને કાવ્યપંક્તિઓ સાથે નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી
વડોદરામાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉનનો અમલીકરણ સખ્તાઈથી કરવાનું શરૂ કરાયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ સહિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં બંદોબસ્ત અર્થે કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફની એક ટુકડી ફાળવવા માં આવી છે જે ટુકડી વડોદરા આવી પહોંચી હતી. સવારે તાંદળજા વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ ઉપરાંત બીએસએફ અને વડોદરા પોલીસની સંયુકત માર્ચ કરી હતી. માંડવી થી પાણીગેટ વિસ્તાર માં તેમજ પાણીગેટથી ફતેપુરા, યાકુતપૂરા વિસ્તારોમાં પણ સાંજે ફૂટમાર્ચ યોજાઈ હતી.
લોકડાઉન હજી વધુ લંબાયું છે ત્યારે લોકો કંટાળીને બહાર ન નીકળે તે માટે વડોદરા પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અને પોલીસે વડોદરાના માંડવી સહિતના વિસ્તારોમાં દેશભક્તિના ગીતો સાથે તેમજ જુસ્સા વધારતી શાયરીઓ અને કાવ્યપંક્તિઓ સાથે નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. તેમજ લોકડાઉનનો અમલ કરવા બદલ પોલીસે નાગરિકોનો પણ આભાર માન્યો હતો.સુરતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. આ અંગે શહેર કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની જ સારવાર કરવામાં આવશે અન્ય રોગ માટે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીએ જવાનું રહેશે જેથી ચેપની સમસ્યાથી દૂર રહેવાય. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સુરત સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં રોજના 200 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. સુરતમાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે સુરત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા પંદર દિવસથી કોરોના સામે લડાઈ લડી રહેલા મંગેશ વનારે કોરોનાને માત આપીને સાજા થયા છે. આ યુવાન ડિસ્ચાર્જ થતા તેમને નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે તાળીઓ ના ગડગડાટથી વધાવી લીધા હતા.જ્યારે યુવાને પણ હોસ્પિટલના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો.
