વર્ષમાં બે જ વખત દર્શનાર્થીઓ માટે ખૂલે છે પાતાળેશ્વર મહાદેવનું મંદિર
Live TV
-
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે. ત્યારે આજે દર્શન કરીએ, ગીર સોમનાથનાં ગીરગઢડા પાસે બાબરીયાનાં જંગલમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના. પાતાળેશ્વર મહાદેવનું આ મંદિર ગીર જંગલ સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલું આ મંદિર વર્ષમાં માત્ર બે વખત જ શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે ખુલે છે. ત્યારે હાલ અતિ પ્રાચીન આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે.
મધ્ય ગીરમાં આવેલું અને વર્ષમાં માત્ર બે જ વાર દર્શન માટે ખુલતું પાતાળેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં ભારે આસ્થા ધરાવે છે. ગીરમાં અનેક ફરવા લાયક કુદરતી સ્થળ તેમજ મહાભારત સમયના અનેક શિવલિંગો આવેલા છે. તેમાનું એક શિવલિંગ એટલે પાતાળેશ્વર મહાદેવ. બાબરિયા ગામથી આઠ કિલોમીટર અંદર બાબરીયા જંગલમાં આવેલું તીર્થ સ્થાન અતિ રમણીય અને પાવનકારી છે. પ્રકૃતિની સાનિધ્યમાં આવેલું શિવલિંગ લોકોને ખૂબ જ આકર્ષે છે.
લોકવાયકા મુજબ મહાભારત સમયમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોની ભક્તિથી ખુશ થઈને મહાદેવ ખુદ પાતાળમાંથી ઉત્પન્ન થઈ, કુંતા માતા તેમજ પાંડવોને દર્શન આપ્યા હતા. બસ ત્યારથી પાતાળેશ્વર મહાદેવ અહીં બિરાજમાન છે.
વર્ષ દરમિયાન અપૂજ્ય રહેતા પાતાળેશ્વર મહાદેવની પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો મહાદેવની પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. અહીં એક મોટા ઓટલા પર પાતાળેશ્વર મહાદેવની શિવલિંગ સ્થાપિત છે. જેને ફરતે લીલીછમ વનરાજી, ખળખળ વહેતા ઝરણાં અને વન્ય પક્ષીઓના કલરવથી વાતાવરણ સુંગધિત થઈ જાય છે.
જંગલ વિસ્તારમાં સ્વયંભૂ પ્રગટેલા પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ભારે શાંતિનો અનુભવ કરે છે. પાતાળેશ્વર મહાદેવનું મંદિર જંગલમાં હોવાને કારને અહી રોડ પર હિંસક પ્રાણીઓનો પણ સામનો કરવો પડે છે. તેમ છતાં હજુ સુધી કોઈ દર્શનાર્થીને ઇજા કે નુકસાન થવા પામ્યું નથી જેને ભક્તો પાતાળેશ્વર મહાદેવની કૃપા માને છે. તેથી શિવભક્તો આખું વર્ષ આ મંદિર ખુલ્લે તેની રાહ જોતા હોય છે.
