વાવ-થરાદના નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય; GJ-40 બનશે જિલ્લાની નવી ઓળખ
Live TV
-
થરાદ ખાતે નવું RTO કાર્યાલય આજથી કાર્યરત કરવામાં આવ્યું... જ્યાં તમામ વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ હવે સ્થાનિક સ્તરે મળશે...
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોની સુવિધા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓને સાંકળીને રચાયેલા નવા વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ હવે સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળશે. આજથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લાના દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવેથી પોતાના વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું પડશે નહીં અને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
હવેથી વાવ-થરાદ જિલ્લાના નાગરિકો આ નવી RTO કચેરી ખાતેથી નવા વાહનની નોંધણી, વાહન માલિકી ફેરફાર, સરનામું સુધારણા, હાઇપોથેકેશન ઉમેરવું / રદ્દ કરવું, વાહન વેરો ભરપાઈ કરવો, ફેન્સી નંબર સંબંધિત સેવાઓ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ સંબંધિત સેવાઓ તથા ઈ-ચલણ જેવી વિવિધ સેવાઓ નવી કચેરી ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે.
આ નવી કચેરી શરૂ થવાથી વાવ-થરાદ જિલ્લાના હજારો નાગરિકોનો સમય અને નાણાં બચશે તથા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.
