વિરમગામમાં નવા ટાઉનહૉલનું ઈ-લોકાર્પણ કરતા CM રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં 2.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટાઉનહોલનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના નગરો શહેરોની સરખામણીએ ઊભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં શહેરી જનસંખ્યા 45 ટકાથી વધુ છે. આમ રાજ્યમાં 50 ટકા લોકો ગામડામાં અને 50 ટકા લોકો નગરોમાં વસે છે ત્યારે રાજ્ય સરકાર નગરોમાં માળખાકીય સેવાઓ વ્યાપક બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે કટિબદ્ધ છે. વ્યક્તિ પોતાના વતન, પોતાના ગમતા નગરમાં છેલ્લા શ્વાસ સુધી રહેવું પસંદ કરે તેવા નગરોનાં નિર્માણની નેમ મુખ્યમંત્રીએ આ અવસરે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નગરપાલિકાઓ વિકાસ કામોના આયોજન કરે રાજ્ય સરકાર આ માટેના નાણાં પૂરા પાડશે. રાજ્ય સરકાર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ સંવર્ધન ઈચ્છે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન પંડ્યાએ આ પ્રસંગે વિરમગામના નવનિર્મિત ટાઉનહોલનું નામ 'સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ' જાહેર કર્યું હતું. રૂ. 288.70 લાખના ખર્ચે નિર્માણ પામેલ ટાઉન હોલ બે માળનો છે તથા આવશ્યક તમામ સુવિધાઓથી સજ્જ છે તેમ તેઓએ જણાવ્યું હતું.
