વિશ્વ આદિવાસી દિવસની પંચમહાલ જિલ્લાના મોરા ખાતે ઉજવણી
Live TV
-
૯ મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ. ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટી જિલ્લાઓમાં વસતા આદિવાસીઓ દ્વારા આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લાનો જિલ્લા કક્ષાનો આદિવાસી દિવસ મોરવા હડફ તાલુકાના મોરા ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદીપસિંહ જાડેજાએ પરંપરાગત પ્રકૃતિ પૂજન કર્યું હતું. ત્યાર બાદ સ્થાનિક આગેવાનો દ્વારા તેઓનું આદિવાસી પરંપરા મુજબ કોટી પહેરાવી તેમજ તીર કામઠુ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૃથ્વી પર સૌથી પહેલી જાતિ તરીકે આદિવાસીઓનું અવતરણ થયું જેના કારણે આદિવાસી સમાજ હંમેશા કુદરત સાથે જોડાયેલો રહ્યો.
આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે આદિવાસીઓની કુદરત સાથે જોડાયેલી કેટલીક પરંપરાની ઝાંખીના દર્શન કરીયે. કણ કણમાં ભગવાનનો વાસ એવી માન્યતા સાથે જીવતા આદિવાસીઓ પ્રકૃતિપ્રેમી હોય છે અને પથ્થર- પશુ કે પક્ષીઓમાં પણ ભગવાનના દર્શન કરે છે. એટલું જ નહીં જૂના ઢબના કાચા મકાનોમાં રહેતા અને ખેતી કરીને પેટિયું રળતા રૂઢિગત આદિવાસીઓ આજે પણ શહેરોથી અજાણ રહીને જંગલના પ્રેમમાં દિવસો ગુજરી રહ્યા છે અને "માનો તો દેવ નહીં તો પથ્થર " એવી સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસીના ઉદ્ધારક એવાં ઝારખંડના બિરસા મુંડાની પ્રતિમાને વાજિંત્રો વગાડીને યાદ કર્યાં હતા તેમજ તેમણે અંગ્રેજો સામે આદિવાસીઓના રક્ષણ માટે લડત આપી હોવાની યાદમાં આદિવાસીઓ વાજિંત્રો વગાડીને શ્રદ્ધાંજલિ આપી હતી.
