વિસનગર તાલુકાના કાંસા ગામે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પિયત સહકારી સંઘ દ્વારા પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંમેલન યોજાયું
Live TV
-
સમગ્ર ધરતી પર પ્રાકૃતિક ખેતી થશે તો નેચરલ વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ મુજબ આપો આપ કામ થશેઃ રાજ્યપાલ
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામે પિયત સહકારી સંઘના ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત સંમેલન યોજાયું હતું. તેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા અને જળ એ જીવન વિશે ખેડૂતોને જાગૃત થવા હાકલ કરી હતી. તેઓએ દાખલો આપી સમજાવ્યું હતું કે તાજેતરમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સતત વરસાદને પગલે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા તેમને માત્ર પાંચ ટકા નુકસાન થયું છે,, જ્યારે રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોના ખેતરના પાકને ભારે નુકશાન થયું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાય આધારિત ખેતી કરવાથી શરીર સાથે મન પણ સ્વસ્થ રહે છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે ડ્રિપ ઇરીગેશન અને સ્પ્રિંકલર જેવી પદ્ધતિ અપનાવી પાણી બચાવવા માટે પણ અપીલ કરી હતી.
વિસનગર તાલુકાના કાંસા ગામે ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની મૂળ સંસ્કૃતિ સહકાર છે, જે સહકારી ભાવનાથી નાગરિકો વિકાસના ફળ ચાખી રહ્યા છે, જેનો શ્રેય ગુજરાતના નાગરિકો ને જાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે પ્રાકૃતિક ખેતી મિશનને ગુજરાતના ખેડૂતોએ અપનાવ્યું છે જેનાથી આજે રાજ્યમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના મૂળમાં રાસાયણિક ખેતી છે, તાજેતરમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં સતત વરસાદને પગલે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા તેમને માત્ર પાંચ ટકા નુકસાન થયું છે અને રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોના ખેતરના પાક ને ભારે નુકશાન થયું છે.
રાજ્યપાલ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ધરતીને કોમળ બનાવે છે, જેનાથી પાકના મૂળ ઊંડા થાય છે. અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ ધરતી પરના વૃક્ષને મજબૂતાઈથી પકડી રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, કુરુક્ષેત્ર ખાતે તેમના ખેતરમાં જુલાઈ માસમાં પાણી પડ્યું હતું , જે પાણી માત્ર ૨૪ કલાકમાં જ ધરતીના ગર્ભમાં જતું રહ્યું હતું જ્યારે રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
તેમજ રાજ્યપાલ જણાવ્યું હતું કે, અળસિયા ખેડૂતના મિત્ર છે. જેઓ ૮ થી ૧૦ ફૂટ ઊંડા છિદ્ર બનાવી ધરતીને ફળદ્રુપ બનાવે છે. અળસીયા જે માટી આરોગે છે અને તેમના પેટમાંથી જે માટી બહાર કાઢે છે તે માટી માં છ ગણા વધારે નાઈટ્રોજન, ૯ ગણું ફોસ્ફરસ અને ૧૧ ગણું પોટાશ હોય છે. અળસીયું મૃત્યુ પામે છે ત્યારે ૧૬ પ્રકારના પોષક તત્વો જમીનને પૂરા પડે છે. અળસિયું તેમના એક જીવનમાં ૪૦ થી ૫૦ હજાર નવા જીવ ઉત્પન્ન કરી ધરતીને મજબૂત બનાવે છે આમ સમગ્ર ધરતી પર પ્રાકૃતિક ખેતી થશે તો નેચરલ વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ મુજબ આપો આપ કામ થશે.
