સરદાર સાહેબના એકતા-અખંડિતતાના મંત્રને ગૂંજતો કરવા એકતા યાત્રાનો પ્રારંભ થશે
Live TV
-
બારડોલીથી એકતાયાત્રાનો શુભારંભ કરાવશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબના એકતા-અખંડિતતાના મંત્રને રાજ્યભરમાં ગૂંજતો કરવા આજથી એકતા યાત્રાનો પ્રારંભ થશે. આ અંગેની માહિતી આપતાં ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું, કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શુક્રવાર 19 ઓક્ટોબરે સુરતના બારડોલીથી એકતાયાત્રાનો શુભારંભ કરાવશે. રાજ્યભરમાં બે તબક્કામાં એકતાયાત્રા યોજાશે. રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં એકતાયાત્રાનો પ્રારંભ કરાવશે. 10 હજાર ગામોમાં 50 થી વધુ 'એકતારથ' પરિભ્રમણ કરશે. યાત્રા દરમિયાન ગામોમાં રથનું ભવ્ય સ્વાગત કરાશે, તેમજ એકતાના શપથ લેવડાવાશે. પ્રથમ તબક્કો 20 મી ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન ચાર ઝોનમાં યાત્રા યોજાશે. જ્યારે બીજો તબક્કો 12 નવેમ્બરથી 21મી નવેમ્બર દરમિયાન યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના 31 ઓક્ટોબરે લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં એકતાયાત્રા યોજીને, સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્રને ઘેર-ઘેર ગુંજતો કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
