સુરતના અગ્નિ તાંડવની ઘટના બાદ રાજ્યભરનું વહીવટી તંત્ર ફાયર સેફટીના મામલે થયું દોડતું
Live TV
-
સુરતના સરથાણાની આગ દુર્ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું, 350 ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે.
સુરતના અગ્નિ તાંડવની ઘટના બાદ રાજ્યભરનું વહીવટી તંત્ર ફાયર સેફટીના મામલે દોડતું થઈ ગયું છે. જેમાં નવસારી પાલિકા પણ સામેલ થયું છે અને શહેરની શાળા-કોલેજો, હોસ્પિટલો તેમજ અન્ય હાઈ રાઈઝ ઈમારતો મળીને 352 આસામીઓને ફાયર સેફટીના મામલે નોટિસો ફટકારવામાં આવી છે. આ સાથે જિલ્લામાં શિક્ષણ વિભાગે પણ ટ્યુશન કલાસિસમાં સપાટો બોલાવીને 53 જેટલા કલાસિસને સીલ માર્યા છે.
સુરતના સરથાણાની આગ દુર્ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર, ફાયર અધિકારી અને શાળા અને ટ્યુશન સંચાલકો વચ્ચે એક મિટિંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગમાં મનપા કમિશનર દ્વારા શાળા અને ટ્યુશન સંચાલકોને ફાયર સેફટી અંગે માર્ગદર્શન અપાયું હતું અને જ્યાં સુધી NOC ન મળે ત્યાં સુધી શાળા ચાલુ ન કરવા જણાવાયું હતું. કેટલીક શાળાઓમાં અગાશી પર ડોમ બનાવ્યા હોવાની માહિતી મળતાં તંત્ર દ્વારા તેને તોડી પાડવા આદેશ કરાયા છે.
સુરતના સરથાણામાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર હરકતમાં આવીને ફરી આવી કરૂણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની કામગીરીમાં જોતરાયું છે. જેના ભાગરૂપે શાળા-કોલેજો સહિત બહુમાળી બિલ્ડીગોમાં ફાયર સેફટીની સુવિધાનું ચેકિંગ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગ દ્વારા લોકોને આગ જેવી આપદા સામે ઝઝૂમવા માટે વિશેષ તાલીમ પણ અપાઈ રહી છે.
સુરતના તક્ષશીલાકાંડ બાદ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શહેર તેમજ જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અંગેનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. એક સપ્તાહ સુધી શહેર અને જિલ્લાની 600 સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાશે. સુરતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે 6 ટીમો બનાવીને ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અમુક શાળાઓમાં ફાયર સેફટીની સુવિધાઓ ઊપલબ્ધ હતી તો ઘણી શાળાઓમાં સિસ્ટમ કાર્યરત ન હોવાનું બહાર આવ્યુ હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ફાયર સેફ્ટીની સુવિધા ન હોય એવી શાળાઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં તેઓને તાત્કાલિક ફાયર સેફ્ટીની સુવિધા પૂરી પાડવા તાકિદ કરાઈ છે. ચેકીંગ દરમિયાન સ્કૂલોમાં ફાયર સેફ્ટીની અપુરતી સુવિધા જણાઇ આવતા પાંચ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી.
સુરત અગ્નિકાંડની દુઃખદ ઘટના બાદ સુરત પાલિકાએ હવે સખ્તાઇથી કાર્યવાહી શરૂ કરી છે. મનપા કમિશનર એમ.થેંનારાશનના નેજા હેઠળ 350 ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે. 37 ટીમ દ્વારા 650 લાખ સ્કેવર ફૂટ બાંધકામ દૂર કરાયું છે. 40 જેટલી હોસ્પિટલ અને કોમર્શીયલ મકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી ઘટના ન બને તે માટે કમિટી બનાવીને એક મહિનામાં સૂચનો મંગાવવામાં આવશે. 55 ટીમો દ્વારા સર્વે કરી આવા બાંધકામની વિગતો મેળવાઈ રહી છે. શહેરના 900થી વધુ ટ્યૂશન ક્લાસમાં ફાયર સુવિધા નહીં હોવાથી તેને સીલ કરવામાં આવ્યા છે. ફાયરના સાધનોને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. અને મોકડ્રીલ કરવામાં આવશે.
