સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ
Live TV
-
સુરેન્દ્રનગર કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે પ્રાકૃતિક ખેતીની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લામાં હાલ 40 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે તેઓની પ્રાકૃતિક ઉપજોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી તાત્કાલિક વેચાણ કેન્દ્રો શરૂ કરવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે જ કૃષિ વિભાગના અધિકારીઓને જિલ્લામાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ ઝુંબેશમાં જોડાય તે માટે સચોટ પ્રયાસો કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં કપાસ અને જીરું જેવા રોકડિયા પાકોનું વાવેતર સવિશેષ પ્રમાણમાં થાય છે, જેમાં રોગ અને જીવાત આવવાની શક્યતા વધારે રહે છે. આ પાકોમાં કીટ નિયંત્રણ માટે ‘દસપર્ણી અર્ક’ અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યો હોવાથી તેની વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવા જિલ્લાની સહકારી મંડળીઓને સક્રિય રીતે સાંકળી લેવા બેઠકમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં ‘આત્મા’ પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિ અને કામગીરીની વિગતવાર માહિતી કલેક્ટરને પૂરી પાડી હતી. તેમણે દસપર્ણી અર્કના ઉત્કૃષ્ટ પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતાં આશાવાદ દર્શાવ્યો હતો કે, કપાસ અને જીરું જેવા સંવેદનશીલ પાકોમાં મળેલા સફળ પરિણામોને આધારે આગામી રવિ ઋતુ દરમિયાન સમગ્ર જિલ્લાને પેસ્ટીસાઈડ ફ્રી બનાવવાની દિશામાં સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વી. ડી. સાકરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર સહિત બાગાયત, આત્મા, પશુપાલન, સહકાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
