હિમાચલ પ્રદેશના મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન
Live TV
-
બાળકોમાં રહેલી છૂપી પ્રતિભા અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો ખૂબ સહાયરૂપ બને છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને ખોળે આનંદ-પ્રમોદ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલીમાં બાળ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે. જેમાં સુરત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર-રાંદેરના ૬૦ બાળકો અને બાળાઓ પણ ભાગ લઇ રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે આ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો
આ પ્રસંગે મનાલી પ્રવાસે જતા બાળકોનું અભિવાદન કરતાં મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અનાથ બાળકો પણ અન્ય બાળકોની જેમ બાળસહજ પ્રવૃત્તિઓ થકી આનંદ અને જ્ઞાન મેળવી શકે તે માટે બાળ સાહસિકતા શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રાજસ્થાનના આબુ ખાતે અનાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે પ્રકારે શિબિરનું આયોજન કરાયું હતું. આ વર્ષે હિમાચલના મનાલીમાં આયોજિત શિબિરમાં બાળકો સાહસિક અને ખડતલ બને તે માટે ટ્રેકિંગ-જોગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. મંત્રી પરમારે બાળકોમાં રહેલી છૂપી પ્રતિભા અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો ખૂબ સહાયરૂપ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ બાળકોને જીવનમાં સાહસિકતાના ગુણો ખીલવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક બાળક અને બાળાઓને ગુલાબનું ફૂલ ભેટ ધરી તેમના સુખમય અને આનંદદાયક પ્રવાસની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અને કોર્પોરેટર ડો. જગદીશ પટેલે સમગ્ર કાર્યક્રમ વિષે વિસ્તૃત જાણકારી આપી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સુરત દ્વારા ત્યજી દેવાયેલા બાળકો, અનાથ બાળકો, બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા બાળકોની સારસંભાળ, કાળજી અને રક્ષણની કામગીરીથી સૌને વાકેફ કરાવ્યા હતા.
બે બેચમાં યોજાનાર આ શિબિરમાં આગામી ૧૧ મી જુને સુરતના ૩૬ બાળકો અને ૨૪ બાળાઓ સહિત કુલ ૬૦ બાળકો મનાલી જવા રવાના થશે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આયોજિત આ શિબિરની પ્રથમ બેચ તા.૫ જૂન થી ૧૪ જૂન ૨૦૧૮ દરમિયાન તેમજ બીજી બેચ ૧૧ જૂનથી ૨૦ જૂન ૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ બેચમાં સુરત, વડોદરા તથા અમદાવાદથી રાજધાની ટ્રેનમાં ૭૭ બાળકો તથા બીજી બેચમાં સુરત, વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી ૭૦ બાળકો પ્રસ્થાન કરશે. જેમાં સોસાયટીના અધિકારી/કર્મચારીઓ સાથે રહી બાળકોને માર્ગદર્શન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બેચની શિબિરમાં જોગણી વોટર હોલ્સ, હિડિમ્બા ટેમ્પલ, સ્નો/ભ્રીગુ, મનાલી જેવા પર્વતોમાં પર્વતારોહણની પ્રવૃત્તિ કરવામાં આવશે. તેમજ સાહસિક તાલીમ શિબિરમાં બાળકોને રીપલીંગ, ઝીપ લાઇન, રીવક ક્રોસિંગ, કેમ્પ ફાયર જેવી પ્રવૃત્તિઓ તેમજ નેતૃત્વ, જીવન કૌશલ્ય, હકારાત્મક વિચાર શૈલી અંગે સવિસ્તૃત માર્ગદર્શન અપાશે.આ પ્રસંગે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા, સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ ચૌધરી અને ઉર્વીબેન પરમાર સહિત સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
