BSFની મહિલા પાંખ દ્વારા મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત દિલ્હીથી નીકળેલી બાઈક રેલીનું ગુજરાતમાં સ્વાગત
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’-‘‘એમ્પાવરમેન્ટ રાઇડ ર૦રર’’ને બી.એસ.એફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.
બી.એસ.એફની મહિલા પાંખ દ્વારા મહિલા જાગૃતિ અભિયાન અને રાષ્ટ્ર ભાવનાનાં સંદેશ સાથે નવી દિલ્હીથી નીકળેલ આ બાઈક રેલીનું ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરના મથક પર રોકાણ કરીને આજે સવારે સ્ટેચ્યુ ઑફયુનિટી કેવડીયા માટે પ્રસ્થાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પોલીસ વડા આશિષ ભાટિયા અને બી.એસ.એફ ગુજરાત ફ્રન્ટીયરના IG જી. એસ.મલેક દ્વારા આ બાઈક રેલીને આગળની યાત્રા માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બીએસએફ ની 35 વીરાંગનાઓ દ્વારા નવી દિલ્હીથી કન્યાકુમારી સુધી પહોંચવાના લક્ષ નિર્ધાર સાથે 5280 કિલોમીટરની યાત્રા કરીને મહિલા શક્તિ અને આત્મનિર્ભરનો સંદેશ પ્રસાર કરવાનુ કામ કરશે.
નવી દિલ્હીના ઇન્ડીયા ગેટથી ગત તા. 8મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે આ 35 જેટલી ડેરડેવિલ બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ છે. દિલ્હીથી 5280 કિ.મી નું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ 35 જેટલી બાઇકર્સ તા.30મી માર્ચે તામિલનાડુના કન્યાકુમારી પહોચવાની છે.
બી.એસ.એફ.ની આ મહિલા બાઇકર્સ ટીમ ગુજરાત બી.એસ.એફ હેડકવાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેને સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફલેગ ઓફ કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે દેશની એકતા અખંડિતતાને નવું જોમ આપતી આ મહિલા બાઇકર્સને નારીશક્તિ, સામર્થ્યનું આગવું પ્રતિક ગણાવી હતી.
મુખ્યમંત્રીએ દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતાની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો.
તેમણે કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ છે. 2014માં 1,05,000ની સંખ્યા હતી તે 2020માં 2,15,000 થઇ ગઇ છે.સૈનિક સ્કૂલોમાં દીકરીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે અને દેશભરની સૈનિક સ્કૂલોમાં દીકરીઓ એડમિશન લઇ રહી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે, આત્મનિર્ભરતાની આ મુહિમ દેશની નારીશક્તિની સહભાગીતાથી જ સફળ થશે.
તેમણે મહિષાસુરમર્દિની દુર્ગા અને રાણી લક્ષ્મીબાઇનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સૃષ્ટિની જનક એવી નારી જરૂર પડ્યે શસ્ત્ર ઉપાડી શત્રુઓનો નાશ પણ કરી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ 350 સી.સી. ની રોયલ એનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા.
