#IPL2022Final: ટિકિટ્સ Sold-out, રવિવારે ગુજરાતની ટીમ માટે ગુંજશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
Live TV
-
હાલ આઈપીએલ-2022ના ફાઇનલ મુકાબલાની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ મુકાબલો 29 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈ તરફથી દર્શકોની ક્ષમતાને લઇને જે પ્રતિબંધ લગાવ્યા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં 100 ટકા પ્રેક્ષકોની હાજરીમાં આઈપીએલ પ્લેઓફ રમાડવામાં આવશે એટલે કે 1 લાખથી વધુ પ્રશંસકો સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચશે. આઈપીએલ-2022ની શરૂઆત 26 માર્ચે થઇ હતી. કોરોનાને જોતા બીસીસીઆઈએ લીગ રાઉન્ડની 70 મેચો મહારાષ્ટ્રના 4 સ્થળો પર કરાવવાનો નિર્ણય કર્યો હતો.
ગત દિવસોમાં આ મેચની ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં હજુ થોડા દિવસોની વાર છે પણ ગણતરીના દિવસોમાં જ ફાઇનલની ટિકિટ વેચાઇ ગઈ છે. બીસીસીઆઈના ઓફિશિયલ ટિકિટ પાર્ટનર બુકમાય શો પર ફાઇનલ મેચની ટિકિટ બુક કરવા જતા તેના પર સોલ્ડ આઉટ લખેલું જોવા મળી રહ્યું છે. જો કે, નોકઆઉટની અન્ય મેચની ટિકિટ હજુ મળી રહી છે.
આ ફાઇનલ મેચની ટિકિટના દરની જો વાત કરીએ, તો સૌથી સસ્તી ટિકિટ 800 રૂપિયાની છે જયારે સૌથી મોંઘી ટિકિટ 65,000 રૂપિયાની છે. કોરોનાનાં કારણે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે બધા પ્રતિબંધો હટી ગયા છે ત્યારે ફાઇનલમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહેશે. બે વર્ષ પછી પ્રથમ વખત સ્ટેડિયમ પુરી ક્ષમતા સાથે ભરેલા હશે. છેલ્લી બે સિઝનમાં કોરોના પ્રોટોકોલનાં કારણે મેચો પ્રશંસકો વગર કે ઓછા દર્શકોને જ સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી હતી.જો કે હવે કોરોના કેસની સંખ્યા ઘટતા છૂટછાટ આપવામાં આવી છે.
રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ રમાશે ત્યારે ફાઇનલ મેચ અગાઉ સમાપન સમારંભ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં બોલીવુડ કલાકારો કાર્યક્રમમાં પર્ફોમન્સ આપશે. આ સાથે જ આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં ભારતીય ક્રિકેટની સફરને દર્શાવાશે.
