જાપાનનાં પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેનું નિધન, ભારતમાં આવતીકાલે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
Live TV
-
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેનું નિધન થયું છે. આજે સવારે જાપાનનાં પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જાપાનના નારા શહેરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેને ગોળી મારવામાં આવી હતી. શિંઝો આબે આજે સવારે લગભગ આઠ વાગ્યે લિબરલ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારની ચૂંટણી સભામાં ભાષણ આપી રહ્યા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
શિંઝો આબેને ગોળી વાગ્યા બાદ તેમને હાર્ટ અટેક પણ આવ્યો હતો. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. 41 વર્ષીય હુમલાખોર યામાંગામીએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. શિંઝો આબે પરના હુમલાને લઈને જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ જણાવ્યું છે કે આ હુમલાને સાંખી લેવામાં નહીં આવે.
જાપાનનાં પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, હું મારા પ્રિય મિત્ર શિંજો આબેના દુ:ખદ નિધનથી સ્તબ્ધ છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો અંગેની તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ છોડી છે. પ્રધાનમંત્રીએ દેશમાં આવતીકાલે એક દિવસીય રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. સમગ્ર ભારતમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાતો હોય તે તમામ ઈમારતો પર શોકના દિવસે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં.
