પાકિસ્તાનમાં પૂરનો કહેર યથાવત્, 1 હજારથી વધુ લોકોના મૃત્યુ
Live TV
-
આ કુદરતી આફતથી 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા.
પાકિસ્તાનમાં પૂરનો કહેર યથાવત છે. પાડોશી દેશ પાકિસ્તાન પહેલા રાષ્ટ્રીય કટોકટી, પછી આર્થિક સંકટ અને હવે પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં પૂરે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદ અને પૂરના કારણે 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તો, આ કુદરતી આફતથી 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમજ 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ સિંધ, કરાંચી, પંજાબ,ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન પ્રાંતમાં પૂરની અસર થઈ છે, ઉપરાંત ખેતી અને પશુધનને પણ ભારે નુકસાન થયું છે. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ‘ઇમરજન્સી’ લાગુ કરી છે. તો, પાડોશી દેશમાં આર્થિક સંકટની વચ્ચે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળી સરકારની અપીલ પછી આંતરરાષ્ટ્રીય મદદ પહોચાડવામાં આવી રહી છે. આ કટોકટીના સમયે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં આવેલ વિનાશકારી પૂર સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું છે. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઝડપથી સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપનની આશા રાખીએ છીએ.
પાકિસ્તાનના મંત્રી શેરી રહેમાને દાયકાનું સૌથી ખરાબ ચોમાસું ગણાવતા કહ્યું કે, સર્વત્ર પાણી જ પાણી છે, અને પાણીના નિકાલ માટે કોઈ સૂકી જમીન બચી નથી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, દેશના ઉત્તરમાં અને ઘણા વિસ્તારોમાં ઘણી નદીઓમાં ભારે પૂરને કારણે મૃત્યુઆંક વધી શકે છે. મંત્રીએ આંતરરાષ્ટ્રીય સહાય માટેની સરકારની અપીલનો પુનરોચ્ચાર કર્યો અને ગ્લોબલ વોર્મિંગ માટે મોટા ઔદ્યોગિક દેશોને જવાબદાર ઠેરવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 3 કરોડ 30 લાખ લોકો એટલે કે દર સાતમાંથી એક પાકિસ્તાની પૂરથી પ્રભાવિત થયો છે. વિનાશક પૂરના કારણે સમગ્ર પાકિસ્તાનમાં રસ્તાઓ, ઘરો અને પાક નાશ પામ્યા છે.
