પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી: ISRO ટૂંક સમયમાં વિશ્વને સૌરઊર્જા કેલ્ક્યુલેટર એપ્લિકેશન કરાવશે ઉપલબ્ધ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISRO ટૂંક સમયમાં વિશ્વને સૌરઊર્જા કેલ્ક્યુલેટર એપ્લિકેશન ઉપલબ્ધ કરાવશે. જે સમગ્ર વિશ્વમાં કોઈપણ ક્ષેત્રની સૌરઊર્જા ક્ષમતાને માપી શકે છે. ગ્લાસગોમાં વૈશ્વિક COP-26 સમિટના એક્સિલરેટીંગ ક્લીન ટેક્નોલોજી ઇનોવેશન અને ડિપ્લોયમેન્ટ પરના સત્રમાં બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ કેલ્ક્યુલેટર દ્વારા સેટેલાઇટ ડેટાના આધારે વિશ્વના કોઈપણ સ્થાનની સૌરઊર્જા સંભવિતતાની ગણતરી કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ એપ્લિકેશન સૌર પ્રોજેક્ટ્સનું સ્થાન નક્કી કરવામાં ઉપયોગી થશે અને 'વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રીડ' પહેલને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે, સૌરઊર્જા સંપૂર્ણપણે સ્વચ્છ અને ટકાઉ છે આ ઊર્જા માત્ર દિવસના સમયે ઉપલબ્ધ હોય છે તથા હવામાન આધારિત છે તે સમસ્યાનો ઉકેલ, 'એક સૂર્ય, એક વિશ્વ અને એક ગ્રીડ' છે અને તેનાથી વિશ્વવ્યાપી ગ્રીડ દ્વારા સ્વચ્છ ઊર્જા ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રસારિત કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ રચનાત્મક કાર્બન ઉત્સર્જન અને ઊર્જાની કિંમતમાં ઘટાડો કરવા સાથે, વિવિધ પ્રદેશો અને દેશો વચ્ચે સહકારનો નવો માર્ગ પણ ખોલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આધુનિક યુગમાં માણસે સૂર્ય દ્વારા સ્થાપિત કરેલા ચક્રથી આગળ નીકળી જવાની લગાવેલી હોડમાં કુદરતી સંતુલન ખોરવાયુ છે અને પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માનવતાના ભવિષ્યને બચાવવા માટે આપણે ફરીથી સૂર્યની સાથે ચાલવું પડશે.
