ભારતે તજાકિસ્તાનને વિકાસકાર્ય માટે 2 કરોડ ડોલર ફાળવવાની જાહેરાત કરી
Live TV
-
ભારતે તજાકિસ્તાનને વિકાસકાર્ય માટે 2 કરોડ ડોલર ફાળવવાની જાહેરાત કરી હતી. તજાકિસ્તાનના ત્રણદિવસીય પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તજાકિસ્તાનમાં પોતાના સમકક્ષ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. તેમજ બંને દેશોના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ભારત તથા તજાકિસ્તાન વચ્ચે મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તે અગાઉ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુશામ્બેમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ અવસરે તેમણે બંને દેશો વચ્ચે સંબંધને મજબૂત કરવા માટે તજાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અહીં વસતા ભારતીય સમુદાયના લોકો ભારત માટે ભારતીય સંસ્કૃતિના દૂત સમાન છે. તેમણે જણાવ્યું હતું કે તજાકિસ્તાનને વિકાસ માટે ભારત તરફથી તમામ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થશે. આ સાથે જ તેમણે બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધને વધુ મજબૂત કરવા માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો.
