ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે સૌપ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન થયું
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રાન્ડ ડચી ઓફ લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી મહામહિમ જેવિયર બીટલે 19 નવેમ્બર, 2020ના રોજ ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે સૌપ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રાન્ડ ડચી ઓફ લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી મહામહિમ જેવિયર બીટલે 19 નવેમ્બર, 2020ના રોજ ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે સૌપ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીએ લોકશાહીના સહિયારા સિદ્ધાંતો અને મૂલ્યો, કાયદાનું શાસન અને માનવાધિકારોને આધારે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂક્યો હતો.
બંને નેતાએ બંને દેશ વચ્ચે વર્ષ 1948માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા પછી અત્યાર સુધી સાત દાયકાથી વધારે સમયગાળા દરમિયાન મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધોના વિકાસ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓ સંમત થયા હતા કે, આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે, પણ તેમણે વેપારવાણિજ્ય, મૂડીગત કે આર્થિક, સ્ટીલ, અંતરિક્ષ, આઇસીટી, ઇનોવેશન, ઉત્પાદન, ઓટોમોટિવ, પુનઃપ્રાપ્ય ઊર્જા સહિત પર્યાવરણને અનુકૂળ વિકાસ અને આબોહવામાં પરિવર્તન સામેની લડતના ક્ષેત્રોમાં સાથસહકાર વધારીને દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે ઉચ્ચ-સ્તરીય જોડાણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે રોગચાળાની સ્થિતિમાં સુધારો થયા બાદ પારસ્પરિક અનુકૂળ તારીખે ગ્રાન્ડ ડ્યુક હિઝ રૉયલ હાઇનેસની ભારતની સત્તાવાર મુલાકાત પર આતુરતા વ્યક્ત કરી હતી, જે કોવિડ-19 રોગચાળાને કારણે ચાલુ વર્ષે મોકૂફ રહી હતી. બંને નેતાઓએ પારસ્પરિક રસ કે હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે વધી રહેલા સમન્વયનો સ્વીકાર કર્યો હતો. તેમણે બંને દેશ વચ્ચે ઊંડી સમજણ અને સાથસહકારને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ભારતના વિદેશ મંત્રાલય અને લક્ઝમબર્ગના વિદેશ અને યુરોપિયન બાબતોના મંત્રાલય વચ્ચે નિયમિત દ્વિપક્ષીય મંત્રણાના સંસ્થાકીયકરણને આવકાર આપ્યો હતો.
બંને પ્રધાનમંત્રી સંમત થયા હતા કે, ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે પ્રથમ શિખર સંમેલન દ્વિપક્ષીય સંબંધોમાં નવા તબક્કાની શરૂઆત સમાન છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે તથા પારસ્પરિક અને આંતરરાષ્ટ્રીય હિતની બાબતો પર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર સંકલન અને મંત્રણા વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી બેટ્ટલે પ્રધાનમંત્રી મોદીને લક્ઝમબર્ગની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
