રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- ભારતની વિદેશનીતિ અને પ્રાથમિકતાઓ રશિયાથી મળતી આવે છે
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, ભારત બહુ-ધ્રુવીય વિશ્વનો એક એવો સશક્ત કેન્દ્ર છે, જેની વિદેશ નીતિ અને પ્રાથમિકતાઓ રશિયાથી મળતી આવે છે. વ્લાદિમીર પુતિને ગઈકાલે ક્રેમલિનમાં ભારતીય રાજદૂત પવનકુમાર દ્વારા પરિચય પત્ર આપવાના પ્રસંગે કહ્યું કે, આગામી અઠવાડિયામાં તેઓ ભારત આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીતમાં બંને નેતા ભારત-રશિયા સંબંધો અને કાર્યનીતિક ભાગીદારીને વિકસીત કરવાના ઉપાય નક્કી કરશે. વ્લાદિમીર પુતિને કહ્યું કે, પરસ્પર ભાગીદારીથી બંને દેશોને વાસ્તવિક લાભ થયો છે અને દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે. ઊર્જા, નવાચાર, અંતરિક્ષ તથા કોરોના વેક્સિન અને ઔષધ ઉત્પાદન ક્ષેત્રમાં સંબંધો મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત ઉદ્યોગ સ્થાપવા સહિત વ્યાપક સહયોગ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, મને એ વાતનો પૂરો વિશ્વાસ છે કે મિત્રતા અને પરસ્પર સમજૂતીની સુદૃઢ પરંપરાઓ પર ભરોસો રાખતા બંને દેશ સંબંધોને વધુ આગળ વધારવાની દિશામાં કામ કરશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ભારત રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 6 ડિસેમ્બરે નવી દિલ્હી આવી પહોંચશે. આની પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદંમ બાગચીએ કહ્યું છે કે, બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ અને સંભાવનાઓની સમીક્ષા કરશે અને આને વધુ મજબૂત કરવાના પ્રયાસો પર વિચાર વિમર્શ કરશે.
