વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું ઓમિક્રોનનું સંક્રમણ દર ત્રણ દિવસે બે ગણું થઈ રહ્યું છે
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ જણાવ્યું છે કે, કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનનું સંક્રમણ દર ત્રણ દિવસે બે ગણું થઈ રહ્યું છે અને જે ડેલ્ટા સ્વરૂપની સરખામણી ઘણું વધારે છે. અત્યાર સુધીમાં 89 દેશોમાં ઓમિક્રોન સંક્રમણની પુષ્ટિ થઈ છે. સંસ્થાએ જણાવ્યું કે, ઝડપથી વધતાં સંક્રમણને ધ્યાને લેતાં કેટલાક શહેરોના હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘણી વધી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન સંક્રમણ એવા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે જ્યાં કોવિડ રસીકરણનો દર ખૂબ વધારે છે અથવા તો જે દેશની વધુમાં વધુ વસ્તી કોવિડના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ ગઈ છે.
દક્ષિણ–પૂર્વ એશિયાના 7 દેશોમાં ઓમિક્રોન સંક્રમણની પુષ્ટિ થઈ ગઈ છે. WHOના ક્ષેત્રિય નિદેશક ડૉકટર પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું છે કે, ઓમિક્રોનના સંક્રમણને રોકવા માટે સાર્વજનિક આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવી તે પ્રાથમિકતા હોવી જોઈએ અને સામાજિક ઉપાયોને સુચારું રીતે અમલમાં મૂકવાની જરૂરિયાત છે.
