કૃષિ સંબંધિત કાયદાથી ખેતી અને ખેડૂતો માટે નવા અવસરો પેદા થઈ રહ્યા છે: પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પદ્મભૂષણ ડો.બાલાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યુ હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કૃષિ સંબધિત કાયદાથી, ખેતી અને ખેડૂતો માટે નવા અવસરો પેદા થઈ રહ્યાં છે. જેનાથી ખેડૂતોની ભૂમિકા અન્નદાતાથી લઈને ઉદ્યમી બની રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગામડામાં આર્થિક ગતિવિધિ અને ઉદ્યમિતાને વેગ આપવા માટે મુદ્રા જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જે નાણાકીય સહાય થકી ઉદ્યમીઓનો આધાર બની રહી છે.
બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ વિશેષજ્ઞો અને ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને સંસદમાં પસાર થયેલા કૃષિ સુધારા કાયદા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ગામડાઓના વિકાસની સફર શરૂ થઈ ચુકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના હિતમાં એવા પગલાઓ ભર્યા છે જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થાય અને દેશના 14 કરોડ ખેડૂત અને તેના પર નિર્ભર 55 કરોડથી વધુની જનસંખ્યા સુધી આર્થિક વિકાસની રફ્તાર પહોંચશે.
