કેન્દ્ર સરકારે દૈનિક ધોરણે નવા કેસમાં વધારો થયો હોય એવા રાજ્યોને સૂચના આપી
Live TV
-
છેલ્લા થોડા દિવસોમાં ભારતમાં કોવિડ-19નાં સક્રિય કેસનાં ભારણમાં વધારો જોવા મળ્યો છે. આજે ભારતનાં કુલ સક્રિય કેસનું ભારણ 1,45,634 હતું. આ ભારણ અત્યારે ભારતનાં કુલ પોઝિટિવ કેસમાં 1.32 ટકા છે. દેશમાં કુલ સક્રિય કેસમાં 74 ટકાથી વધારે કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. વળી છેલ્લા થોડા દિવસોમાં છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં પણ દૈનિક ધોરણે કેસમાં વધારો થયો છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ દૈનિક ધોરણે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. કેરળમાં છેલ્લાં ચાર અઠવાડિયામાં સરેરાશ સાપ્તાહિક કેસ મહત્તમ 42,000થી લઘુતમ 34,800 વચ્ચે વધઘટ થયા છે. એ જ રીતે, આટલા જ સમયગાળા દરમિયાન કેરળમાં સાપ્તાહિક પોઝિટિવિટી 13.9 થી 8.9 ટકા વચ્ચે જોવા મળી છે. કેરળમાં અલાપ્પુઝા જિલ્લાની સ્થિતિ વિશેષ ચિંતાજનક છે, જ્યાં સાપ્તાહિક પોઝિટિવિટી દર વધીને 10.7 ટકા થયો છે અને સાપ્તાહિક ધોરણે કેસ વધીને 2,833 થયા છે. જ્યારે છેલ્લાં ચાર અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં પણ સાપ્તાહિક ધોરણે કેસમાં વધારો જોવા મળ્યો છે અને કેસની સંખ્યા 18,200થી વધીને 21,300 થઈ છે, ત્યારે રાજ્યનો સાપ્તાહિક પોઝિટિવિટી દર 4.7 ટકાથી વધીને 8 ટકા થયો છે. રાજ્યમાં સૌથી વધુ ચિંતાજનક વિસ્તારો મુંબઈના પરાંવિસ્તારો છે, જ્યાં સાપ્તાહિક ધોરણે કેસમાં 19 ટકાનો વધારો થયો છે. આ દ્રષ્ટિએ નાગપુર, અમરાવતી, નાસિક, અકોલા અને યવતમાલમાં અનુક્રમે 33 ટકા, 47 ટકા, 23 ટકા, 55 ટકા અને 48 ટકાનો વધારો થયો છે.
કોવિડ-19 મહામારીનાં સંક્રમણનાં સંબંધમાં પંજાબમાં ઝડપથી સ્થિતિ વકરી છે. જ્યારે છેલ્લાં ચાર અઠવાડિયામાં પંજાબમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર 1.4 ટકાથી વધીને 1.6 ટકા થયો છે, ત્યારે આ જ ગાળામાં સાપ્તાહિક ધોરણે કેસની સંખ્યા 1300થી વધીને 1682 થઈ છે. એકલા એસબીએસ નાગર જિલ્લામાં જ સાપ્તાહિક પોઝિટિવિટી દર 3.5 ટકાથી વધીને 4.9 ટકા અને સાપ્તાહિક ધોરણે કેસની સંખ્યા બમણાથી વધારે વધીને 165થી 364 થઈ છે. દેશમાં 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે સાપ્તાહિક પોઝિટિવિટી દર ધરાવે છે. રાષ્ટ્રીય સરેરાશ 1.79 ટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી ઊંચો સાપ્તાહિક પોઝિટિવિટી દર 8.10 ટકા છે.
કેન્દ્ર સરકારે આ તમામ રાજ્યો સરકારોને મુખ્ય પાંચ બાબતો પર કામ કરવાની સલાહ છે, જે નીચે મુજબ છે:
RT-PCR પરીક્ષણનું પ્રમાણ વધારવા ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષણની સંપૂર્ણ સંખ્યામાં વધારો કરવો.
રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં નેગેટિવ આવેલા તમામનો ફરી RT-PCR ટેસ્ટ કરવો ફરજિયાત અને આ પ્રકારની કોઈ નેગેટિવ વ્યક્તિ બાકાત ન રહી જવી જોઈએ.
પસંદગીનાં જિલ્લાઓમાં કડકપણે અને વિસ્તૃત નજર રાખવા તેમજ કડક નિયંત્રણ પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવું.
જિનોમ સીક્વન્સિંગને અનુસરીને પરીક્ષણ દ્વારા મ્યુટન્ટ સ્ટ્રેન પર સતત નજર રાખવી તેમજ જે વિસ્તાર કે સમુદાયમાં કેસમાં વધારો થાય એના પર ધ્યાન રાખવું.
જે જિલ્લાઓમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય ત્યાં તપાસ, નિદાન અને સારવાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું.
