કેરળના એર્નાકુલમ જિલ્લાના કલામસેરીમાં બે વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત, 20થી વધુ ઘાયલ
Live TV
-
પ્રાર્થના સભામાં કન્વેન્શન સેન્ટરમાં ઓછામાં ઓછા બે વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા, જ્યાં ધાર્મિક જૂથના 2000થી વધુ ભક્તો રાજ્યના વિવિધ ભાગોમાંથી પ્રાર્થના માટે એકઠા થયા હતા
કેરળમાં આજે સવારે કોચીના કલામસેરીમાં ખ્રિસ્તી ધાર્મિક જૂથ યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના સભા ચાલી રહી હતી. તે દરમિયાન આતંકી હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, કન્વેન્શન સેન્ટરમાં ઓછામાં ઓછા બે વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા, જ્યાં ધાર્મિક જૂથના 2000થી વધુ ભક્તો રાજ્યના વિવિધ ભાગોમાંથી પ્રાર્થના માટે એકઠા થયા હતા. સ્થળ પરથી એક સળગેલી લાશ મળી આવી હતી, જે એક મહિલાની હોવાનું માનવામાં આવે છે.
બ્લાસ્ટને પગલે આગ ફાટી નીકળી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટેન્ડરો લાવવામાં આવ્યા હતા. વિસ્ફોટો બાદ મહિલાઓ અને બાળકોના રડવાનો અવાજ આવ્યો અને કન્વેન્શન સેન્ટર યુદ્ધભૂમિ જેવું લાગતું હતું જેમાં ખુરશીઓ અને એસેમ્બલ થયેલા ઉપાસકોનો સામાન ચારે બાજુ ફેલાયેલો હતો.
સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી આ વિસ્ફોટોની જવાબદારી કોઈએ લીધી નથી. ઘટનાને પગલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ ચાલુ છે. દરમિયાન, વિસ્ફોટોને પગલે સમગ્ર રાજ્યને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
ગૃહ પ્રધાન અમિત શાહે આજે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને એક સંમેલન કેન્દ્રમાં બોમ્બ વિસ્ફોટ પછી રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેમણે NIA અને NSGને ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરવા માટે પણ સૂચના આપી છે.
આજે સવારે જ્યાં વિસ્ફોટ થયા હતા તે કન્વેન્શન સેન્ટરમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેની સાથે ઘટના સ્થળે નાસભાગ મચી હતી. રવિવાર હોવાથી આજે પૂર્ણ થનારી ત્રિ-દિવસીય પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે ઘણી મહિલાઓ ખાસ કરીને વૃદ્ધો કન્વેન્શન સેન્ટર ખાતે એકત્ર થયા હતા.
ઘાયલોને નજીકની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી બેની હાલત ગંભીર છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પહેલાથી જ સ્થળ પર પહોંચી ગયા છે તપાસ ચાલુ છે. વિસ્ફોટોને પગલે સમગ્ર રાજ્યને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
