જમ્મુ અને કાશ્મીર: બસ ખીણમાં પડી જતાં 36 લોકોનાં મૃત્યુ, પ્રધાનમંત્રીએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
Live TV
-
ઇજાગ્રસ્તોને જમ્મુ અને ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડથી જમ્મુ જતી બસ ડોડા જિલ્લામાં ખીણમાં પડી જતાં 36 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે અને 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં છ લોકોની હાલત ગંભીર છે. બસ રસ્તા પરથી ઉતરી જતા 300 ફૂટની ખીણમાં પડી ગઈ હતી. ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે ઘટના સ્થળેથી પૃષ્ટિ કરી હતી કે, 36 લોકોના મૃત્યુ અને 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને જમ્મુ અને ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઇજાગ્રસ્તો જલદીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નજીકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઇજા પામેલા લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
