દૂરદર્શન તેની સ્થાપનાના 65 વર્ષની કરી રહ્યું છે ઉજવણી
Live TV
-
દૂરદર્શન તેની સ્થાપનાના 65 વર્ષની કરી રહ્યું છે ઉજવણી
આજે દૂરદર્શન તેની સ્થાપનાના 65 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. દેશમાં ટેલિવિઝનનો યુગ દૂરદર્શન દ્વારા જ શરૂ થયો હતો. ભારતના લોકસેવા પ્રસારક દૂરદર્શનની સ્થાપના 15 સપ્ટેમ્બર 1959ના રોજ થઈ હતી. દૂરદર્શનમાં હંમેશાં એકતા, સંસ્કૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપનારા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવે છે. સૂચના તથા માહિતી પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજના દિવસના ઉપક્રમે દૂરદર્શન ઉપર વિવિધ મનોરંજક કાર્યક્રમ રજૂ થશે. તેમાં ડીડી નેશનલ દ્વારા વિશેષ કાર્યક્રમ દિલ સે દૂરદર્શન DD@65 નું પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે રજૂ કરવામાં આવશે. દૂરદર્શન આજે સૌથી મોટા પ્રસારણ સંગઠન પૈકીનું એક છે.
ભારતમાં ટીવી અને દૂરદર્શનનો ઈતિહાસ લગભગ એક જેવો જ છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હીમાં દૂરદર્શનની શરૂઆત થઈ. ત્યારે આ ટેસ્ટિંગ તબક્કામાં હતું. એનું નામ આપવામાં આવ્યું હતું ટેલિવિઝન ઈન્ડિયા. 1975માં દૂરદર્શન નામ રાખવામાં આવ્યું. જ્યારે દૂરદર્શન શરૂ થયું તો સપ્તાહમાં ત્રણ દિવસ અડધો-અડધો કલાક પ્રસારણ થતું હતું. 1965માં દૂરદર્શન પર રોજ કાર્યક્રમ પ્રસારિત થવા લાગ્યા. પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પણ શરૂ થયું. જોકે ટીવીનો ગ્રોથ શરૂઆતમાં ખૂબ જ ધીમો રહ્યો. 1975 સુધી માત્ર સાત શહેર સુધી જ પહોંચી શક્યું હતું. 1982માં રંગીન ટીવી આવ્યું અને એશિયાઈ રમતોના પ્રસારણે તો એની લોકપ્રિયતાને ઘણી વધારી દીધી હતી. અહીંથી ટીવીની કાયાપલટ થવાની શરૂઆત થઈ. નવા-નવા પ્રોગ્રામ બનવા લાગ્યા. ધીરે-ધીરે સવાર અને પછી બપોરે પ્રોગ્રામ પ્રસારિત થવા લાગ્યા. સાંજે રોજ પ્રસારિત થનારા કૃષિ દર્શન, સપ્તાહમાં બે વખત ચિત્રહાર અને રવિવારે આવનારી રંગોલીની લોકપ્રિયતાની સરખામણીએ આજે કોઈ પ્રોગ્રામ ન આવી શકે. 1966માં શરૂ થયેલા કૃષિ દર્શનનું યોગદાન દેશમાં હરિત ક્રાંતિ લાવવામાં પણ રહ્યું છે. આજે 2 રાષ્ટ્રીય અને 11 ક્ષેત્રીય ચેનલોની સાથે દૂરદર્શનની કુલ 21 ચેનલો પ્રસારિત થાય છે. 14 હજાર જમીની ટ્રાન્સમીટર અને 46 સ્ટુડિયોની સાથે દેશનો સૌથી મોટું પ્રસારણકર્તા છે.
